(istockphoto)

સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)એ શ્રમ કાયદામાં ફેરફાર કર્યો છે. તેના લીધે ભારતીયોને ફાયદો થશે. યુએઇનો નવો શ્રમ કાયદો બીજી ફેબુ્આરીથી લાગુ પડયો છે. આ શ્રમ કાયદાનો મુસદ્દો ગયા વર્ષે યુએઈની સરકારે રજૂ કર્યો હતો.

નવા કાયદામાં શ્રમિકોને વધારે અધિકાર આપવામાં આવ્યા છે. તે એવા ઘણા વિકલ્પ પૂરા પાડે છે જે અગાઉના કાયદામાં ન હતા. આ નવા કાયદાના લીધે યુએઈમાં કામ કરતાં ભારતીય કામદારો પર પણ અસર પડશે. તેના લીધે તેમની સ્થિતિ વધુ સારી થશે.

યુએઇની કુલ વસ્તીમાં 40 ટકા ભારતીય છે. અબુધાબીમાં ભારતીય દૂતાવાસ મુજબ યુએઇમાં 35 લાખ ભારતીય રહે છે. તેમાનો મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કામ કરે છે. નવો કાયદો લાગુ થતા ભારતીય કામદારોને રાહત થવાની આશા છે.

યુએઇના માનવ સંસાધન વિકાસ પ્રધાન ડો. અબ્દુલ રહેમાન અલ અવારે જણાવ્યું હતું કે નવો કાયદો યુએઇના શ્રમ બજારને વૈશ્વિક શ્રમબજાર સમકક્ષ બનાવશે. આ ફેરફારના લીધે યુએઇમાં કામ કરતાં કામદારોને ફાયદો થશે અને નોકરીની શરતો પણ તેમના હક્કમાં હશે.

આ કાયદામાં બંને પક્ષોના અધિકારોની સુરક્ષાની ખાતરીની જોગવાઈ છે. તેના લીધે યુએઇને કુશળ વિદેશી પ્રતિભાને આકર્ષવામાં પણ મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે નવા કાયદામાં શ્રમિકો અને તેમના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ પૂરો પાડવાના ઘણા વિકલ્પ આપવામાં આવ્યા છે.કાયદાએ 12 પ્રકારની વર્ક પરમિટ અને છ પ્રકારની વર્ક પેટર્ન પૂરી પાડી છે. તેના હેઠળ બંને પક્ષો વચ્ચે કામનો કોન્ટ્રાક્ટ બનાવવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષનો હશે અને તે રીન્યુ કરી શકાશે.