પ્રતિક તસવીર (AP Photo/Kirsty Wigglesworth)

– બાર્ની ચૌધરી દ્વારા
કોવિડ-19 કેસના કેસોમાં કેટલાક વિસ્તારોમાં વધારા માટે એશિયન સમુદાયને દોષીત ઠેરવવા અને “એશિયન અને ઇમિગ્રન્ટ્સ” પર નવા પ્રતિબંધોની જરૂર હોવાનું જણાવનારા કેલ્ડર વેલીના કન્ઝર્વેટીવ એમપી ક્રિસ વિટેકરની ટિપ્પણીને “રેસીસ્ટ’’ ગણાવી વરિષ્ઠ એશિયન રાજકારણીઓ, મુસ્લિમ સંગઠનો અને સરકારના સલાહકારોએ તેની આકરી ઝાટકણી કાઢી છે.

સરકારના એન્ટી મુસ્લિમ હેટ્રેડ વર્કીંગ ગૃપના ઉપાધ્યક્ષ, કારી અસીમે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’કેલ્ડર વેલીના સાંસદ ક્રિસ વિટકેરે એલબીસી રેડીયો પર કહ્યું હતું કે મેં મારા મતવિસ્તારમાં જોયું છે કે કેટલાક સમુદાયના લોકો રોગચાળા વિષે ગંભીર જ નથી.” તે જ મુલાકાતમાં, વિટેકરે પુષ્ટિ કરી હતી કે તેમની ટીકાનું લક્ષ્ય મુસ્લિમો, એશિયન લોકો અને ઇમિગ્રન્ટ્સ છે. પરંતુ બીબીસીના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે બચાવ કર્યો હતો.

લીડ્સની મક્કા મસ્જિદના વરિષ્ઠ ઇમામ અસીમે કહ્યું હતું કે ‘’આવી ટિપ્પણીઓ બેજવાબદારી છે અને તે આપણા સમાજમાં ફક્ત વિભાજક બનશે. જે કોઈપણ બેદરકાર, બેજવાબદાર ટિપ્પણી કરે અથવા જાતિગત તિરસ્કાર ભડકાવે અને રેસિસ્ટ ટિપ્પણી કરે તેણે માફી માંગવી જોઈએ.”

કન્ઝર્વેટિવ પાર્ટી ઇસ્લામોફોબીક છે તેવી ફરિયાદ કરી ચૂકેલા ભૂતપૂર્વ ટોરી સહ-અધ્યક્ષ, બેરોનેસ સઇદા વારસીએ સોશ્યલ મીડિયા પર વિટેકરની ટીપ્પણીની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે ‘’કેટલાક લોકો લોકડાઉન વિષે ગંભીર નથી, જેમ કે બીચ પ્રેમીઓ, પબ ગોઅર્સ, ગેરકાયદે રેવર્સ, ફેસ માસ્ક વિરોધીઓ, ફૂટબૉલ કપ જીતની ઉજવણી કરનારાઓ વગેરે.

શું હવે આપણે બધાને જાતિ દ્વારા વર્ગીકૃત કરીશું? આ વિવાદાસ્પદ બકવાસ બંધ થવો જ જોઇએ.”
એક સ્રોતે જણાવ્યું હતું કે, “ઘણા પ્રેરિત ટોરી સાંસદોએ દલીલ કરવાનો પ્રયાસ કર્યો હતો કે ‘’દક્ષિણ એશિયાઈ સમુદાયો તેમના મત વિસ્તારોમાં ચેપના ફેલાવા માટે દોષિત છે.

લેસ્ટર ઇસ્ટના સાંસદ ક્લાઉડિયા વેબ્બેએ એમપી વિટેકરના શબ્દોને “ટોરી રાજકારણી દ્વારા ધિક્કારપાત્ર રેસિસ્ટ ટીપ્પણીઓને સમુદાયોને વિભાજીત કરવાના વ્યાપક પ્રયત્નોનો એક ભાગ” ગણાવી હતી.

મેફેરના લોર્ડ રામી રેન્જર વિટેકરને જાતિવાદી માનતા નથી પણ તેમણે કહ્યું હતું કે ‘’લઘુમતી વંશીય જૂથો જાણી જોઈને નિયમોની અવગણના કરી રહ્યા છે તેના પુરાવા જોવાની જરૂર છે. મારી પાસે પુરાવા નથી, અને મને નથી લાગતું કે તેમની પાસે પોતે જે કહ્યું છે તે સ્પષ્ટ રીતે કહેવાની સત્તા છે.’’

ગ્રેટર માન્ચેસ્ટરના ચૂંટાયેલા મેયર, એન્ડી બર્નહામે પણ વિટેકરની ટીકા કરી તેમનુ ધ્યાન બીજે કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. લેસ્ટરના ફેડરેશન ઑફ મુસ્લિમ ઓર્ગેનાઇઝેશને વિટેકરની ટીપ્પણીઓને “ઉશ્કેરણીજનક” ગણાવી છે. તેના પ્રવક્તા સુલેમાન નાગડીએ જણાવ્યું હતું કે “અમારી પાસે વૈજ્ઞાનિક, વાઇરોલોજિસ્ટ અને કેટલાક ડોકટરો પણ છે અને મસ્જિદો અને મદ્રેસાઓ માર્ચના પ્રથમ લોકડાઉન પહેલાના પાંચ દિવસ પહેલા બંધ કરી દેવાયા હતા.

અમે આ રોગચાળા વિષે ખૂબ જ ગંભીર છીએ. “28 જુલાઇએ લેસ્ટરની કાઉન્સિલ ઓફ ફેઇથ્સના અધ્યક્ષ, ફૈયાઝ સુલેમાને હેલ્થ સેક્રેટરીને પત્ર લખીને શહેરના લોકડાઉનનો અંત લાવવા વિનંતી કરી હતી. તેમના 30થી વધુ ફેઇથ જૂથોએ 15 જુદી જુદી ભાષાઓમાં 26,000 થી વધુ સંદેશા મોકલ્યા હતા.

‘ગરવી ગુજરાતે’ વિટકરે કરેલી ટીપ્પણી માટે પગલા લેવાશે કે કેમ કે જાણવા કેબિનેટ ઑફિસ, નંબર 10 અને કન્ઝર્વેટિવ પાર્ટી હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.