ભારત સરકારે બુધવારે મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને પીએમ પોષણ યોજના કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ‘પીએમ પોષણ’સ્કીમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના મિડ ડે મીલનું સ્થાન લેશે. આ સ્કીમ હેઠળ સરકારી શાળામાં અભ્યાસ કરનારા 11.2 લાખથી વધારે બાળકોને વિના મૂલ્યે ભોજન મળશે. સરકારે ‘પીએમ પોષણ’સ્કીમ હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂપિયા 1.31 લાખ કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવારે આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિ (CCEA) બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા વિદેશ વ્યાપર અંગે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જે નિર્ણય લેવામાં આવ્યા છે તે પૈકી ત્રણનો વિશેષ ઉલ્લેખ કરી શકાય છે.તેમા બે રેલવે લાઈનને ડબલ કરવી, નિકાસ વધારવા માટેના ઉપાયો અને મધ્યાન ભોજનનું સ્થાન પ્રધાનમંત્રી પોષણ યોજાનાનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટ-કાનાલુસ રેલવે ટ્રેકને ડબલ કરવામાં આવશે.