નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના વાયનાડના પ્રવાસ પર છે. વાયનાડમાં બંધારણ બચાવો રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નાથુરામ ગોડસે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારા એક જ છે. બન્નેની વિચારધારામાં કોઈ જ અંતર નથી. બસ નરેન્દ્ર મોદીમાં એ કહેવાની હિમ્મત નથી કે તે નાથુરામ ગોડસેમાં શ્રદ્ધા રાખે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતવાસીઓને સાબિત કરવું પડી રહ્યું છે કે તે ભારતીય છે. નરેન્દ્ર મોદી કોણ છે કે જે નક્કી કરશે કે હું ભારતીય છું. તેમને આ લાઈસન્સ કોણે આપ્યું છે કે તે નિર્ણય કરશે કે કોણ ભારતીય છે કે નહીં? હું જાણુ છું કે હું ભારતીય છું. મારે કોઈની પાસે તે સાબિત કરવાની જરૂર નથી.

રાહુલ ગાંધીએ રોજગારી અને અર્થતંત્રના મુદ્દે પણ સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે શું તમે એ નોટિસ કર્યું કે જ્યારે પણ નરેન્દ્ર મોદીને બેરોજગારી અને નોકરીઓ મુદ્દે પ્રશ્ન કરવામાં આવે છે તો તેઓ ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયત્ન કરે છે. રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) અને CAA તમને નોકરી નહીં આપે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અને આસામની સ્થિતિ લોકોને રોજગારી નહીં આપે.