વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીમાં રશિયાના પ્રેસિડન્ટ પુટિનને અકીકના બાઉલ ભેટમાં આપ્યા હતા. (ANI Photo)

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન છ ડિસેમ્બરે ભારતના મહેમાન બન્યા હતા ત્યારે ગુજરાતનું ખંભાત ચર્ચાનો વિષય બન્યું હતું. તેનું કારણ એ છે મોદીએ પુતિનને ખંભાતના અકીકના બાઉલ ભેટમાં આપ્યા હતા. આ બાઉલની ખાસિયત એ છે કે તેમાં એક પણ સાંધો નથી અને અકીકના જાણકાર દ્વારા તેને પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યો છે. આ બાઉલ અંગે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થઈ હતી.

ખંભાતના અકીકના વિક્રેતા ખુશમન પટેલે જણાવ્યું કે, ઈસ 1200ની આસપાસથી ખંભાતમાં કલાત્મક આભૂષણો બનાવવામાં આવે છે. અહીં 5 હજારથી વધારે અકીકના કારીગરો કામ કરે છે. વ્લાદિમીર પુતિનને ભેટમાં આપેલા અકીકના બાઉલ તથા આ જ રીતે અકીકમાંથી બનાવેલી વસ્તુઓની દુનિયામાં ઘણી માંગ છે. ખંભાતના અકીકના ઉદ્યોગ નિષ્ણાંત વિનયભાઈ પટેલ જણાવે છે કે આ પ્રકારના બાઉલ બનાવવા માટે મોટા પથ્થરની જરુર પડે છે, અને આ પથ્થર મળ્યા પછી પણ બાઉલ બનાવવાનું કામ સરળ નથી હોતું, કારણ કે આ પથ્થર બટકણો હોય છે માટે ખાસ કાળજી રાખીને કુશળ કારીગર દ્વારા તેને તૈયાર કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, આ બાઉલ ટોચના લોકોના ઘરમાં જોવા મળે છે, તેની દુનિયામાં ઘણી માંગ છે.

ખંભાતના ધારાસભ્ય મયુર રાવલે જણાવ્યું કે, ખંભાતમાં અકીક સિવાય પતંગ, હલવાસન અને સુતર ફેણી પણ ખ્યાતિ પ્રાપ્ત છે. વડાપ્રધાને અકીકના દુર્લભ બાલની ભેટ આપી છે ત્યારે ખંભાતની ખુશબુ વિશ્વ સ્તરે વિસ્તરી છે.