(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

નરગિસ ફકરીએ દસ વર્ષના સમયગાળામાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવ્યું છે. તેણે રણબીર કપૂર સાથેની ફિલ્મ રોકસ્ટારથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે નવેમ્બરમાં કારકિર્દીના દસ વર્ષ પૂર્ણ કરશે. જોકે, તે ફિલ્મો કરતા ઉદય ચોપરા સાથેના સંબંધના કારણે વધુ ચર્ચામાં હતી.

હવે નરગિસને ફરીથી બોલીવૂડમાં સક્રિય થવું છે અને તે સારા પ્રોજેક્ટ અને પાત્ર મળવાની રાહ જોઇ રહી છે. તાજેતરના એક ઇન્ટવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તેણે અને ઉદય ચોપરાએ કદી ડેટ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા જાહેરમાં કરી નહોતી. જોકે, કહેવાય છે કે તેઓ પાંચ વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા. ઉદય ચોપરા સાથેના સંબંધને મીડિયામાં ખબર ન પડવા દેવાની નરગિસની આસપાસના લોકોએ તેને ખાસ સલાહ આપી હતી. આમ, છતાં તેઓ એક પ્રાઇવેટ હોલીડે પર ગયા હતા ત્યારની તસવીર લીક થઇ ગઇ હતી. નરગિસે એ પણ કબૂલ્યું હતું કે, ભારતમાં તેને ઉદય ચોપરા કરતા વધુ સારી વ્યક્તિ મળી નહોતી. તેથી તે પોતાના રિલેશનશિપ દરમિયાન ઉદય ચોપરા સાથે બહુ ખુશ હતી. આ પછી અચાનક તેમનું બ્રેકઅપ થયું હતું. ત્યારે નરગિસ ઓચિંતી જ ભારત છોડીને વિદેશ જતી રહી હતી. નરગિસ ડિપ્રેશનમાં સરી ગઇ હતી તેવી પણ વાત ફેલાઇ હતી.