
ટી-૨૦ વર્લ્ડકપ 2026માં મોટા વિવાદ પછી પછી રવિવાર, 15 ફેબ્રુઆરીએ કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચમાં હાઇવોલ્ટેજ મુકાબલો થશે. બંને દેશો વચ્ચેના તનાવભર્યા સંબંધો અને ટકરાવની સ્થિતિ વચ્ચે ક્રિકેટ ચાહકોની નજર કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ પર મંડાયેલી રહેશે. જોકે ભારતીય સમય મુજબ સાંજે ૭.૦૦ વાગ્યે મેચ ચાલુ થાય તે પહેલા ગાજવીજ સાથે વરસાદ ત્રાટકે તેવી આગાહી કરાઈ હોવાથી વિધ્ન આવી શકે છે.
ટી-૨૦ના વર્લ્ડ રેન્કિંગમાં ભારત નંબર વન છે અને ભૂતકાળના મુકાબલામાં પણ પાકિસ્તાન કરતાં ચડિયાતુ સાબિત થઈ ચૂક્યું છે, તેથી ભારતની ટીમને વિજય માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
અગાઉ એશિયા કપ ટી-૨૦માં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાયા હતાં અને ત્રણેય વખત ભારતીય ટીમ વિજેતા બની હતી. આ ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર કે બીજા ખેલાખેલાડીઓએ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા ન હતાં. આ મેચ પહેલા સૂર્યકુમારે જણાવ્યું હતું કે અમે આ અંગેનો નિર્ણય આવતીકાલે મોડેથી લઈશું. તેના માટે રાહ જુઓ. સારુ ભોજન લો અને સુઈ જાવ.
ભારતીય ટીમમાં કેપ્ટન સૂર્યકુમારની સાથે તિલક વર્મા, કિશન, હાર્દિક પંડયા, રિન્કુ સિંઘ, બુમરાહ તેમજ અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્થી સહિતના મેચ વિનર ખેલાડીઓ છે. જે ગમે તેવી સ્થિતિમાંથી ભારતીય ટીમને જીત તરફ દોરી શકે છે.
ટી-૨૦ વર્લ્ડકપના ફોર્મેટ અનુસાર આ ગ્રુપ સ્ટેજના મુકાબલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમી-ફાઈનલમાં કે ફાઈનલમાં પણ ટક્કર થઈ શકે છે. જો વરસાદ પડશે તો મેચ મોડી ચાલુ થશે અથવા ઓવરમાં પણ ઘટાડો થઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપમાં કુલ મળીને 16 મેચ રમાઈ છે, જેમાંથી ૧૫માં ભારત વિજેતા બન્યું છે. જ્યારે પાકિસ્તાન માત્ર એક મેચ જીતી શક્યું છે. ટી-૨૦ વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે આઠ મેચ રમાઈ છે, જેમાં ભારત ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ સહિતની સાત મેચ જીતી ચૂક્યું છે. આ સાત વિજયમાં ૨૦૦૭ની ટાઈ થયેલી ગ્રુપ મેચ પણ સામેલ છે, જેમાં ભારત બોલ આઉટને સહારે જીત્યું હતુ.











