નોબેલ પ્રાઇઝની વાત આવે છે ત્યારે વિશ્વભરના સંશોધકો, સમાજસેવકો, અર્થશાસ્ત્રીઓ અને સમાજમાં અસામાન્ય યોગદાન આપનારા લોકો નોબેલ મળવાના અણસાર માત્રથી પણ ગૌરવ અનુભવતા હોય છે. પરંતુ આ જ નોબેલ પ્રાઇઝ મેળવનારાઓની ભૂતકાળની કામગીરી ભવિષ્યનો પણ નિર્દેશાંક બની રહે તે જરૂરી નથી તેમ દર્શાવતી અનેક ઘટનાઓ બનેલી છે. મોલેક્યુલર બાયોલોજી ક્ષેત્રે ક્રાંતિના મંડાણ કરવા બદલ 1993નું નોબેલ પ્રાઇઝ મેળવનાર કેરી મુલિસને પછીના સમયમાં ઘણી ઓછી અસરકારક જ્યોતિષ તથા એકસ્ટ્રાટેરેસ્ટ્રીયલ કમ્યુનિકેશનની અસરોની તપાસ જેવી કામગીરી કરવી પડી હતી.

એચઆઇવી સંશોધન માટે નોબેલ પ્રાઇઝ સંયુક્તપણે મેળવનારા લુક મોન્ટગ્નિયરને હોમિયોપેથી, ડીએનએ ટેલિપોર્ટેશન તથા કોરોના વાઇરસ બાયોવેપન છે કે કેમ તેવા મૂલ્યાંકન કરવાનો વારો આવ્યો હતો.નોબેલના અભિશાપના સંદર્ભમાં થયેલા વિશ્લેષણમાં જણાયું છે કે, વિજ્ઞાનનો સર્વોચ્ચ એવોર્ડ મેળવનારા જે તે સંશોધકના અભ્યાસની અસરો નોંધપાત્ર રીતે ઘટતી રહી છે. આ ઉપરથી એક છાપ તેવી પણ જન્મી રહી છે કે નોબેલ પ્રાઇઝ મળવાથી કારકિર્દીની પ્રગતિ રૂંધાઈ શકે છે, તેની દિશા બદલાઈ પણ થઇ શકે છે.

નોબેલ પ્રાઇઝ મેળવ્યા પછી વધેલા માનપાન, સન્માન સમારંભો, કહેવાતા બુદ્ધિજીવીઓની મિલન મુલાકાતોની વ્યસ્તતામાં જે તે નોબેલ વિજેતા તેની મૂળભૂતતા કાં તો ભૂલી જાય છે અથવા માનપાનના અતિરેકમાં ગાંડો થઇ જતો હોય છે.જે તે ક્ષેત્રના શ્રેષ્ઠ દિમાગ તરીકે પંકાયેલા ડઝનબંધ વિદ્વાનો, ટેલિપથી, કોલ્ડ ફયુઝન ડાઉઝીંગ ક્ષેત્ર, કામો તરફ વળ્યાનું પણ જણાયું છે. રસાયણ ક્ષેત્રે 2009નું નોબેલ પ્રાઇઝ મેળવનારા તથા રોયલ સોસાયટીના પ્રમુખ વેન્કી રામાકૃષ્ણને તો નોબેલ પ્રાઇઝને ‘કીસ ઓફ ડેથ’ ગણાવ્યું હતું.

2010માં ફીઝીક્સ માટે નોબેલ પ્રાપ્ત કરનાર સર એન્ડ્રે ગેઇઝે પણ ‘નોબેલડીપ’ની વાત સાથે સંમત થતા જણાવ્યું હતું કે, મોટા ભાગના વિજેતાઓ ગણતરીના વર્ષોમાં પુનઃ સ્વસ્થ થતા હોય છે પરંતુ કેટલાકની ઘેલછા કે ગાંડપણ ચીરકાલિન રહે છે. ઇલિનોઇસની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના દાશુન વાંગના જણાવ્યાનુસાર સામાજિક વ્યવસ્થામાં સફળતા સફળતાને અને ધન ધનને ખેંચતું આવ્યું છે. જો તમે નોબેલના સ્તરની માન્યતા પ્રાપ્ત કરો છો તો તે વિજ્ઞાન ક્ષેત્રની સરખામણી ના થઇ શકે તેવી માન્યતા હોવાથી તમે તેમ માનો છો તે તમારા કામને વધુ માન્યતા પ્રાપ્ત થશે. પરંતુ વાસ્તવમાં તો તેનાથી વિપરીત થતું હોય છે.

પ્રોફેસર વાંગ અને તેમના સાથીઓએ કરેલા અભ્યાસમાં આવી સ્થિતિ કેમ સર્જાતી હોય છે તેના કોઇ નક્કર પુરાવા નથી પરંતુ મહત્વાકાંક્ષાની થિયરીને આગળ કરતાં જણાવાયું છે કે, નોબેલ પ્રાઇઝથી આગળ તો કાંઇ છે જ નહીં અને એક જ ક્ષેત્રની કામગીરી માટે બીજી વખત નોબેલ અપાતું નહીં હોવાથી જે તે વિજેતાએ બીજો વિષય અપનાવવો પડતો હોય છે.

બે સુપર કન્ડક્ટર્સમાં જંકશન ખાતે ક્વોન્ટમ ટનલિંગ શોધનાર બ્રાયન જહોન્સન 22 વર્ષની વયે જ કદાચ નોબેલ પ્રાઇઝ મળ્યું હોત પરંતુ તે પછી બ્રાયને માઇન્ડ મેટર યુનિફકેશ પ્રોજેક્ટ શરૂ કરીને કોલ્ડ ફયુઝન, પેરાનોર્મલ જેવા અન્ય વિષયોમાં સંશોધન આરંભ્યું હતું. ડચ ઓર્નિથોલોજીસ્ટ નિકોલસ ટીન્હર્જેને પ્રાણીઓના સામાજિક વ્યવહારની સમજ માટે નોબેલ પ્રાઇઝ મેળવ્યું હતું પરંતુ તે પછી તેમણે તેમના કેટલાક વિચારો ઓટીસ્ટીક બાળકોની હાલત સુધારવા કામે લગાડ્યા. નિકોલસની થેરાપી કામ લાગી કે નહીં તેની ખબર નથી પરંતુ તેને વાહિયાત ગણાવી આકરી ટીકા થઇ હતી.