(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડના અગાઉના જમાના ચોકલેટી હીરો તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર સ્વ. રિશી કપૂરના તાજેતરમાં 69મા જન્મદિને તેમની પુત્રી રિદ્ધીમા પિતાના પ્રશંસકોને એક ખાસ ભેટ આપી છે. રિદ્ધિમાએ પિતાના નિધનથી અધૂરી રહેલી ફિલ્મ શર્માજી નમકીનનું પ્રથમ લૂક બહાર જાહેર કર્યું છે.

રિદ્ધિમાએ આ અંગે પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, ફિલ્મ શર્માજી નમકીનનું પોસ્ટર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મને આનંદ અને ગર્વ થાય છે. હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતાઓમાંના એક રિશી કપૂરને લોકો તેમના અભિનયમ માટે હંમેશા યાદ રાખશે. આ તેમની અંતિમ ફિલ્મનું પ્રથમ લૂક છે.

આ ફિલ્મના અધુરા રહેલા દ્રશ્યોને પરેશ રાવલની મદદથી પૂર્ણ કરવામાં આવ્યા છે. રિદ્ધિમાએ પરેશ રાવલનો પણ આભાર માનતા જણાવ્યું છે કે, તેમણે રિશીજીના અધુરા રહેલા દ્રશ્યોને ભજવવા માટે હું તેમનો આભાર માનું છું. તેમણે સંવેદનશીલ બનીને આ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, રિશી કપૂરનું નિધન કેન્સરને કારણે થયું હતું. તેમણે બે વર્ષ સુધી સારવાર કરાવી હતી પરંતુ અંતે તેઓ આ બીમારી સામે જંગ હારી ગયા હતા. નીતુ કપૂરે રિશી કપૂરની બીમારીના છેલ્લા દિવસો યાદ કરીને લખ્યું હતું કે, ન્યૂયોર્કના તેમની સાથેના દિવસોમાં તેમની પાસેથી મને ઘણું શીખવાની તક મળી હતી. તેમના બ્લડકાઉન્ટ હાઇ રહેતા ત્યારે અમે તેની ઉજવણી કરતા હતા, રેસ્ટોરન્ટમાં જતા, ખરીદીનો પણ આનંદ લેતા હતા. તેમની તબિયત નરમ રહેતી ત્યારે અમે ઘરે ટીવી જોતા અને ભોજન ઓર્ડર કરતા હતા. તેમની નવી કીમોથેરપી વધુ સારી રહેશે એવી આશા સાથે અમે દિવસો પસાર કર્યા હતા. હેપ્પી બર્થ ડે કપૂર સાહેબ.