બોલીવૂડ, ગુજરાતી ફિલ્મો અને નાટ્યમંચના પીઢ કલાકાર પરેશ રાવલે નેશનલ એવોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લોબીંગ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં આ અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમણે અન્ય કોઈ કલાકાર કે ફિલ્મની વાત કરવાના બદલે પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, તેમની બે ફિલ્મો ‘સર’ અને ‘સરદાર’ નેશનલ એવોર્ડ્સની દાવેદાર હતી. આ સમયે તત્કાલીન સાંસદે દિલ્હીમાં બેસીને તેમને લોબીંગના મહત્ત્વ વિશે વાત કરી હતી. પરેશ રાવલે નેશનલ એવોર્ડ્સને એક ગેમ જેવા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું, નેશનલ એવોર્ડ્સ માટે મને માન છે, પરંતુ તે કઈ રીતે કામ કરે છે, તેની મને ખબર છે. એવોર્ડની સાથે અનેક પ્રકારના સમીકરણો જોડાયેલા હોવાનું જાહેર છે.
બે એવોર્ડનું હું હૃદયપૂર્વક સન્માન કરુ છું. આ બંને એવોર્ડ મને મળ્યા છે. જેમાં દિનાનાથ મંગેશકર એવોર્ડ અને પી.એલ. દેશપાંડે એવોર્ડનો સમાવેશ થાય છે. અન્ય એવોર્ડ લેવા માટે હું ઘરની બહાર પણ ના નીકળું. આ એવોર્ડ કોણ આપે છે, તેનું મહત્ત્વ હોય છે. બાકી એવોર્ડ આપે છે, તો એક પ્રકારનું એકનોલેજમેન્ટ છે. મારી પૂરી ટીમનું એકનોલેજમેન્ટ છે, માત્ર મારું નહીં. હું એટલો બધો ઈનડિફરન્ટ છું, કે તમારે આપવો હોય તો, હું એવોર્ડ પણ લઈશ.
આ એવોર્ડ્સમાં લોબીંગ અને સિલેક્શન પ્રોસેસ અંગે પરેશ રાવલે કહ્યું હતું કે, મોદી સરકારમાં મને એવોર્ડ નથી મળ્યો, 2013માં મળ્યો હતો. તે સરકારનો એવોર્ડ છે. નેશનલ એવોર્ડની હું કદર કરુ છું. નેશનલ એવોર્ડમાં ક્યારેક શું થાય છે? ફિલ્મ કોઈએ પ્રોપર રીતે મોકલી ન હોતી વગેરે જેવી ટેકનિકાલિટીઝ અંગે વાત કરવામાં આવે છે. આ બધી ગંદી રમતો છે અને તેમાં ખેલ થઈ જાય છે. લોબી હોય છે અને જોરદાર હોય છે. ઓસ્કારમાં લોબી હોય છે, તો પછી આ શું ચીજ છે?
