કોરોના મહામારી દરમિયાન ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ પ. પૂ. સ્વામી ચિદાનંદ સરસ્વતિ (પૂજ્ય સ્વામીજી)એ સેવાકાર્યોનું બિડુ ઝડપી લઈ સંખ્યાબંધ લોકો માટે આશા અને સુશ્રુષાના સ્ત્રોત બની ગયા છે. પૂજ્ય સ્વામીજીએ દુર્ગમ વિસ્તારોમાંથી દર્દીઓને જરૂર પડે તો તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે વિના મૂલ્યે સેવા માટે બે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી.

ભારતમાં કોરોના વાઈરસના રોગચાળાના બીજા મોજા દરમિયાન સમગ્ર દેશમાં જોવા મળેલી હૃદયદ્રાવક સ્થિતિએ લોકોનો, સમગ્ર દુનિયાને હચમચાવી દીધા છે. સ્થિતિ એવી હતી કે લોકો પોતાના જીવન માટે અસહાયપણે સંઘર્ષ કરી રહ્યા હતા. રોગચાળો ખૂબજ ઝડપથી ફેલાયો હતો, એક મહિનાથી વધુ સમય માટે ચેપગ્રસ્ત લોકોની અને રોગથી મૃત્યુ પામેલાઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો હતો. ઉત્તરાખંડ સહિતના દેશના તમામ રાજ્યોમાં કટોકટીની સ્થિતિ સર્વવ્યાપક બની હતી. કોરોના વાઈરસના રોગમાંથી સાજા થયેલા લોકોની હાલત પણ દર્દનાક, માનસિક હતાશાની રહી છે. ડર અને પોતાના ભવિષ્ય વિષેની અનિશ્ચિતતા વચ્ચે લોકો જીવી રહ્યા છે.

આવા કપરા કાળમાં પ. પૂ. સ્વામી ચિદાનંદ સરસ્વતિ (પૂજ્ય સ્વામીજી), ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ તેમજ વિવિધલક્ષી સેવા સંસ્થાઓ – ઈન્ડિયા હેરિટેજ રીસર્ચ ફાઉન્ડેશન, ડિવાઈન શક્તિ ફાઉન્ડેશન તથા ગ્લોબલ ઈન્ટરફેઈથ વોશ એલાયન્સ જેવી અનેક સંસ્થાઓના સ્થાપકે સેવાકાર્યોનું બિડુ ઝડપી લઈ સંખ્યાબંધ લોકો માટે આશા અને સુશ્રુષાના સ્ત્રોત બની ગયા છે.
ઋષિકેશમાં પરમાર્થ ચેરિટેબલ હોસ્પિટલ ઉપરાંત આશ્રમના યોગા સેન્ટર તેમજ યોગા હોલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ/સીલિન્ડર્સ તથા આવશ્યક દવાઓના પુરવઠા સાથે 100 બેડની ક્ષમતાનું સંપૂર્ણ સુવિધાયુક્ત કોવિડ કેર સેન્ટર સ્થાપવામાં આવી રહ્યું છે. જરૂરતમંદ લોકોને ઓક્સિજન પહોંચાડવા તેમજ દૂર-સુદૂરના, દુર્ગમ વિસ્તારોમાંથી દર્દીઓને જરૂર પડે તો તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે વિના મૂલ્યે સેવા માટે બે એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલી પ્રોફેશનલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ પરમાર્થ ચેરિટેબલ હોસ્પિટલનો ઉપયોગ કોરોના ટેસ્ટિંગ તથા વેક્સિનેશન્સ માટે કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક સરકારી હોસ્પિટલ્સ તેમજ મેડિકલ સેન્ટર્સ ઓક્સિજનની તીવ્ર અછત અનુભવી રહ્યા હોવાથી 150 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મેળવવા ઓડર્સ અપાયા છે. ઋષિકેશની આસપાસના તમામ વિસ્તારોમાં હોસ્પિટલ્સને વિના મૂલ્યે મેડિકલ કિટ્સ પુરી પાડવામાં આવી છે, જેથી દવાઓની તંગીથી દર્દીઓની સારવારને અસર પડે નહીં. હાલમાં લોકડાઉનની સ્થિતિમાં જરૂરતમંદોને વિના મૂલ્યે ભોજન તેમજ રહેવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
પરમાર્થના ઋષિકુમારો દ્વારા રોજ યજ્ઞ થેરાપી, વેદિક મંત્રોચ્ચાર, પ્રાર્થનાઓ તેમજ ધ્યાન ઘરવામાં આવી રહ્યું છે. પોતાના સ્વજનો કોરોનાના કારણે ગુમાવ્યા હોય તેવા લોકોને શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાય તે માટે પણ ખાસ પ્રાર્થના કરવામાં આવી રહી છે. પ્રેરણાદાયક ઉદબોધનો, ઓનલાઈન ધ્યાન, સત્સંગ, શેરિંગ સર્કલ્સ, સર્વધર્મ પ્રાર્થના સર્કલ્સ અને યોગાના વર્ગો પણ ચાલુ રખાયા છે, જેથી વિશ્વભરમાં લોકડાઉનમાં ઘેર રહેલા લોકોનું માનસિક અને શારીરિક આરોગ્ય જાળવવામાં મદદરૂપ થઈ શકાય.
લોકોને અપીલ છે કે, ભારતમાં આ કપરાકાળમાં સહભાગી થવા અને આપણે સૌ સાથે મળીને આ કટોકટીમાંથી પણ પાર ઉતરીશું એવું દર્શાવવા તેમજ આપણી સામુહિક માનવતાની શક્તિનો પરચો આપવા યથાશક્તિ ફાળો આપી જરૂરતમંદોને રાહત આપવા સૌ આગળ આવે. આવો આપણે સૌ સાથે મળીને ભારતને સલામત અને સ્વસ્થ બનાવવામાં પ્રદાન કરીએ.
ડોનેશન આપવા ઈચ્છતા લોકો અહીં આપેલા https://www.amg.biz/donations/IHRF/ અથવા તો QR code નો ઉપયોગ કરી શકે છે.