હાલ દેશ કોરોના વાયરસની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીથી લઇને આખું તંત્ર કોરોનાને નાથવા માટે સક્રિય છે. બુધવારે સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે હાલના તબક્કે 14મી એપ્રિલના રોજ લૉકડાઉન હટાવવું શક્ય નથી.

એટલે કે હવે લૉકડાઉનનો સમય વધારવામાં આવે તેની પૂરી શક્યતા છે. આ દરમિયાન મહત્વના સમાચાર સામે આવ્યા હતા કે વડાપ્રધાન મોદી આગામી 11મી એપ્રિલના રોજ સવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. શક્ય છે કે આ બેઠકમાં પીએમ મોદી કોરોના વાયરસની સ્થિતિ અંગે માહિતી મેળવશે.

11મી એપ્રિલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદી લૉકડાઉન અંગે જે તે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે વાતચીત કરી શકે છે. નોંધનીય છે કે લૉકડાઉન વધવાની શક્યતા અંગે બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ મામલે કેન્દ્ર સરકાર તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને તેમનો અભિપ્રાય માંગશે.

આથી શક્ય છે કે 11મી તારીખે જ લૉકડાઉન અંગે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. શક્ય છે કે લૉકડાઉનનો સમય વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત જે રાજ્ય કે જિલ્લાઓમાં કોરોના વાયરસ ફેલાયો નથી ત્યાં સાવચેતી સાથે કેટલીક છૂટ આપવા માટે પણ જે તે રાજ્યના મુખ્યમંત્રીને વડાપ્રધાન મોદી સૂચના આપી શકે છે.

દિલ્હી ખાતે વીડિયો કોન્ફરન્સથી સર્વદળીય નેતાઓને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે ત્યારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીએ તો 13મી એપ્રિલના રોજ લૉકડાઉન હટાવી દેવું શક્ય નથી. તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ મામલે વિચાર-વિમર્શ કરશે, પરંતુ લૉકડાઉન બહુ ઝડપથી જ ખતમ થઈ જશે તેવું શક્ય લાગી રહ્યું નથી.