
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાતને ભાગરૂપે રવિવાર, 14 જૂને ભારતથી રવાના થયા હતાં. પ્રેસિડન્ટ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર પ્રધાનમંત્રી 15-16 જૂને સાયપ્રસની મુલાકાત લેશે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર વડાપ્રધાન કેનેડામાં જી-સેવન સમીટમાં હાજરી આપશે અને તે પછી ક્રોએશિયાની મુલાકાત લેશે અને પ્રેસિડન્ટ ઝોરાન મિલાનોવિક અને વડા પ્રધાન આન્દ્રેજ પ્લેનકોવિક સાથે મુલાકાત કરશે.
મોદીએ કહ્યું કે G7 સમિટ પછી, તેઓ ક્રોએશિયાની મુલાકાત લેશે અને રાષ્ટ્રપતિ ઝોરાન મિલાનોવિક અને વડા પ્રધાન આન્દ્રેજ પ્લેનકોવિક સાથે મુલાકાત કરશે.
મોદીએ જણાવ્યું હતું કે “સાયપ્રસ ભૂમધ્ય પ્રદેશ અને EUમાં એક ગાઢ મિત્ર અને મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુલાકાત ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવાની તથા વેપાર, રોકાણ, સુરક્ષા, ટેકનોલોજી અને લોકો-થી-લોકોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રોમાં આપણા સંબંધોને વિસ્તૃત કરવાની તક પૂરી પાડે છે. મોદીએ કહ્યું હતું કે ભારત અને ક્રોએશિયા સદીઓ જૂના ગાઢ સાંસ્કૃતિક સંબંધોથી જોડાયેલા છે. કોઈ ભારતીય વડા પ્રધાનની ક્રોએશિયાની આ પ્રથમ મુલાકાત તરીકે, તે પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ માટે નવા માર્ગો ખોલશે.
જી-સેવન સમીટ અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે કેનેડામાં આગામી G7 સમિટ વૈશ્વિક મુદ્દાઓ અને ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર વિચારોના આદાનપ્રદાન માટે તક પૂરી પાડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાયપ્રસની મુલાકાતથી તુર્કીને સ્પષ્ટ સંદેશ પણ આપશે. તુર્કીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરમાં સંઘર્ષમાં પાકિસ્તાનને ખુલ્લો ટેકો આપ્યો હતો. બીજી તરફ સાયપ્રસ અને તુર્કી વચ્ચે વર્ષોથી દુશ્મની છે. વરિષ્ઠ રાજદ્વારી સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે મોદી રવિવારે આશરે 100 લોકોના મોટા પ્રતિનિધિમંડળ સાથે ટાપુ પર પહોંચશે, જેમાં અનેક જાહેરાતો થવાની અપેક્ષા છે.
વડાપ્રધાન મોદી ક્રોએશિયા પણ જશે. 1991માં યુગોસ્લાવિયાનું વિસર્જન થયા પછી ક્રોએશિયા જનારા મોદી ભારતના પહેલા વડાપ્રધાન હશે. વાસ્તવમાં તેઓ ગયા મહીને જ ક્રોએશિયા જવાના હતા, પરંતુ ભારત-પાક. સંઘર્ષને લીધે તે મુલાકાત યોજી શકાઈ ન હતી. સાયપ્રસ અને ક્રોએશિયા બંને યુરોપિયન યુનિયનના સભ્યો છે. સાયપ્રસ ૨૦૨૬ના પ્રથમાર્ધમાં યુરોપીય સંઘના પ્રમુખપદે રહેશે. આથી સાયપ્રસનું મહત્વ ઘણું છે.
વ્યાપારી દ્રષ્ટિએ પણ સાયપ્રસનું મહત્વ છે. 1960માં સાયપ્રસ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું પછી આ ભૂમધ્ય સમુદ્રીય ટાપુ દેશમાં ગ્રીક સાયપ્રાઈટ્સ અને તુર્કીશ સાઇપ્રોઈટસ વચ્ચે ખટરાગ શરૂ થયો. તૂર્કીએ સાયપ્રસ ઉપર આક્રમણ કર્યું જેમાં તૂર્કી સફળ ન થયું આખરે સંધિ થઈ જેમાં ઉત્તરનો ભાગ પોતાને સેલ્ફ-ડીડબર્ડે-ટર્કીશ રીપબ્લિક ઓફ નોર્ધન સાયપ્રસ (ટીઆરએનસી) તરીકે જાહેર કરાયું જેને એક માત્ર ટર્કીએ જ માન્યતા આપી હતી. અત્યારે ઉત્તરના ભાગમાં તૂર્કો વસે છે. દક્ષિણે ગ્રીક-સાઇપ્રોઈટસ વસે છે. સાયપ્રસ હવે યુરોપીયન યુનિયન કાઉન્સીલનાં પ્રમુખપદે આવતાં યુરોપીય દેશોનાં ભારત સાથેનાં વલણમાં ચોક્કસ અસર કરી શકશે. તેથી વડાપ્રધાન મોદીની સાયપ્રસની મુલાકાત મહત્વની છે.
