અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવાર, 1 જૂને રમાયેલી ક્વોલિફાયર-2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટથી વિજય મેળવીને આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અમદાવાદમાં 3 જૂને યોજાનારી ફાઇનલમાં તેનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુકાબલો થશે. આઇપીએલ લીગને 3 જૂને નવી ચેમ્પિયન ટીમ મળવાનું નિશ્ચિત થયું હતું. પંજાબ તરફથી સુકાની શ્રેયસ ઐયરે અણનમ 87 રનની ઇનિંગ રમીને ટીમે ફાઇનલમાં પ્રવેશ કરાવ્યો હતો.
2014 પછી પંજાબ પ્રથમ વખત આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સે આ મેચમાં 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ પંજાબે એક ઓવર બાકી હતી ત્યારે આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો. અગાઉ બેંગલુરુ 2009, 2011 અને 2016માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ચેમ્પિયન બની શકી ન હતી.
આ મેચમાં કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેને 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.
અગાઉ 30મેએ રમાયેલી એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 20 રને પરાજ્યો હતો. આ મેચની સાથે ગુજરાત ટાઈટન્સ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી અને મુંબઈ ઈન્ડિયન્સ ક્વાલિફાયર-2માં પ્રવેશી હતી. આ નિર્ણાયક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈ માટે રોહિત શર્માએ શાનદાર 81 રન બનાવ્યા હતાં. આ ટાર્ગેટનો પીછો કરતાં ગુજરાત ટાઈટન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન જ બનાવી શકી હતી.
ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુરુવારે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં પંજાબ કિંગ્સે માત્ર 14.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ ટાર્ગેટ 10 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
