કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વીડિયો લિંક મારફતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે. ખૂબ જ નુકસાન થવાનું છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે. અમે એટલે કે વિપક્ષ થોડુ દબાણ કરીએ અને સારી રીતે સમજાવીએ તો સરકાર સાંભળી પણ લે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આપણા ગરીબ લોકોને પૈસાની જરૂર છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે તેઓ આ પેકેજ અંગે વિચાર કરે. તેમણે ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર અંગે વિચાર કરવો જોઈએ. મનરેગા હેઠળ 200 દિવસની રોજગારી આપવામાં આવે. તેમણે કહ્યું કે અમે સાંભળ્યું છે કે રેટિંગ્સને લીધે સરકાર પૈસા આપતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકોષિય ખાધ વધે છે તો વિદેશી એજન્સીઓ ભારતનું રેટિંગ્સ ઓછું કરી દે છે.