(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ સુપરહિટ જતાં જ તેના ચાહકો ફિલ્મની સીક્વલની આતુરતાથી રાહ જોતા હતા. આ સીક્વલ તાજેતરમાં રીલીઝ થઇ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે, તેની સાથે આર. માધવન, અર્જુન રામપાલ અને સંજય દત્ત જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
આ ફિલ્મમાં અંડરકવર ભારતીય જાસૂસ હમઝા અલી મઝારીની બેકસ્ટોરી બતાવવામાં આવે છે, જે કરાચીના લ્યારી વિસ્તારમાં જસકીરત સિંહ રંગી તરીકે કામ કરે છે. ફિલ્મની સ્ટોરી મુજબ, રહેમાન ડકૈતના મોત બાદ લ્યારી સળગી રહ્યું છે અને હમઝા લ્યારીનો નવો બાદશાહ બને છે. રણવીર આ ફિલ્મમાં પહેલા કરતા પણ વધુ ખતરનાક અવતારમાં દેખાય છે.
આ ફિલ્મમાં હમઝાનો એ ચહેરો જોવા મળે છે, જેને દુનિયા નથી જાણતી. કેવી રીતે એક સીધો-સાદો, પોતાના પિતા અને દાદાની જેમ ફોજી બનવાનું સપનું જોતો ‘જસકીરત’ જાસૂસીની દુનિયાનો માહેર ખેલાડી ‘હમઝા’ બની ગયો. લ્યારીની સાંકડી ગલીઓથી લઈને સત્તાની ગલીઓ સુધી, હમઝાનો આ બદલો કયા વળાંક પર જઈને અટકે છે અને તેણે આ માટે શું કિંમત ચૂકવવી પડે છે તે જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.
મેજર ઇકબાલ તરીકે અર્જુન રામપાલ અને અજય સાન્યાલ તરીકે આર. માધવન ફરી એક્શનમાં જોવા મળે છે. સંજય દત્ત પોલીસ સુપ્રીટેન્ડેન્ટ ચૌધરી અસલમના રોલમાં દમદાર ડાયલોગ “જહા દર્દ હૈ, વહા મર્દ હૈ” સાથે એક્શન મોડમાં દેખાય છે. ધુરંધર-2 હિન્દીની સાથે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઇ છે. ‘ધુરંધર 2’ના પેઇડ પ્રીવ્યુ શોની 5.38 લાખ ટિકિટના વેચાણ દ્વારા જ રિલીઝ પહેલાં જ રૂ. 27.13 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ ‘બાહુબલી 2’ અને ‘સ્ત્રી 2’ના રેકોર્ડ તોડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ રૂ. 275 કરોડના બજેટમાં બની છે, અને રણવીર સિંહે ફિલ્મ માટે 50 કરોડ ફી લીધી હોવાનું કહેવાય છે. ધુરંધર ડિસેમ્બર 2025માં રિલીઝ થઈ હતી અને તે ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર હતી અને વિશ્વભરમાં તેણે રૂ. 1300 કરોડનો બિઝનેસ કર્યો હતો.