રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા સુરેશ ભૈય્યાજી જોશી સાથે સાધવી ઋતુંભરા (ANI Photo)

ઉત્તરપ્રદેશના કાનપુરમાં નિરાલા નગર સ્થિત રેલવે મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી) તરફથી રામોત્સવ કાર્યક્રમમાં સાધ્વી ઋતુંભરાએ હિન્દુઓને બે બાળકોના વિચારમાંથી બહાર આવીને ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવા આહ્વાન કર્યું છે. રામોત્સવ કાર્યક્રમને સંબોધિત કરતા સાધ્વી ઋતંભરાએ કહ્યું હતું કે, દરેક હિન્દુએ હવે ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવા જોઈએ. એમાંથી બે બાળકો પરિવાર માટે અને બે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદને સોંપવા જોઈએ, જેથી એ રાષ્ટ્ર યજ્ઞમાં યોગદાન આપી શકે. આપણા માટે રાષ્ટ્ર સર્વોપરી હોવું જોઈએ.

સાધ્વી ઋતંભરાએ કહ્યું કે દેશના રાજકીય પક્ષોએ હિન્દુઓને વિભાજીત કર્યા, પરંતુ શ્રીરામના આચરણથી આખો સમાજ એકસંપ થયો. અહીંયા નોંધવું રહ્યું કે, સાધ્વી પહેલા ગાજિયાબાદના ડાસના મંદિરના મહંત યતી નરસિંમ્હાનંદે પણ હિન્દુઓને વધુ બાળકો પેદા કરવા આહ્વાન કર્યું હતું. હિમાચલના એક કાર્યક્રમમાં યતી નરસિમ્હાનંદે કહ્યું કે જો ભારતને ઈસ્લામિક દેશ બનતો રોકવો છે તો હિન્દુઓ વધુ બાળકો પેદા કરવા પડશે.

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી મિલિંદ પરાંડેએ કથિત લવ જેહાદના મામલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક સમયે સીતા માતાના અપહરણને લઈને રાવણનો સંપૂર્ણ નાશ થયો હતો અને આજે આપણે લવ જિહાદ કરનારનો પણ સંપૂર્ણ નાશ કરવો પડશે, ફક્ત ભગવાન રામની પૂજાથી કશુંય થશે નહીં.