ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકે દ્વારા હાઉસ ઓફ કોમન્સ ખાતે આધ્યાત્મિક અને આંતરધાર્મિક મેળાવડાની સાથે વૈશ્વિક થીમ, “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”ને પ્રતિબિંબિત કરતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીના નેતૃત્વમાં કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં એર ઇન્ડિયા દુર્ઘટનાના પીડિતો માટે એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂ. ગુરુજી, પૂ. ઋષિ જી મહારાજ, શ્રી નિરંજન સ્વામી અને પંડિત શિવ પુરી જી દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. સમણી મલય પ્રજ્ઞા જી અને નીતિ પ્રજ્ઞા જી દ્વારા નવકાર મહામંત્ર જાપ કરાયા હતા.
એમપી બોબ બ્લેકમેને યોગને “વિશ્વને ભારતની ભેટ” તરીકે પ્રશંસા કરી હતી અને NHS સહિત જાહેર જીવનમાં સુખાકારી લાવવામાં ગુરુજીના નેતૃત્વનો સ્વીકાર કર્યો હતો.
પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ મુખ્ય ભાષણમાં કહ્યું હતું કે “યોગ શિસ્ત છે જે શરીર, મન અને આત્માને એક કરે છે. તે એક પવિત્ર સંતુલન લાવે છે, આત્મવિશ્વાસ બનાવે છે અને સંવાદિતાને પ્રોત્સાહન આપે છે.”
તેમણે શ્વાસ લેવાના કેટલા યોગાસનોનું નેતૃત્વ કર્યું હતું જેમાં આધુનિક સુખાકારીમાં યોગની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પૂજ્ય ઋષિજી મહારાજને સનાતન ધર્મ પ્રત્યેની તેમની સેવા અને યુવા જોડાણ માટે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ચિત્તલ શાહની ટીમે સાંસ્કૃતિક નૃત્ય, વનિષા, કાવ્યા અને ગિયા જેવા યુવા કલાકારો અને મહેન્દ્ર અને પ્રયા રામચરણ સહિતના આંતરરાષ્ટ્રીય મહેમાનોના યોગદાનથી કાર્યક્રમમાં ગહનતા આવી હતી. NHS, બ્રિટિશ આર્મી અને ધાર્મિક જૂથોના પ્રતિનિધિઓએ પણ યોગની સુસંગતતા પર વાત કરી હતી.
