Getty Images)

બોલીવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો હવે દેશભરમાં ગરમાઇ રહ્યો છે. સુશાંત સિંહના વતન પટણામાં લોકપ્રિય અભિનેતાના આ પગલાને લઇને લોકોમાં રોષ ઉભરી આવ્યો છે. જેને લઇને કેટલાક લોકોએ સલમાન ખાન, શાહરુખ ખાન અને કરણ જોહર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતા નારેબાજી કરી હતી. કેટલીક સ્થાનો પર કલાકારોના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલીવૂડમાં વધી રહેલો પરિવારવાદનો મુદ્દો ખુલ્લો પડ્યો છે. અહીં નવા અને બહારના કલાકારો સાથે ખરાબ વર્તનને લઇને દિગ્ગજ કલાકારોની દેશભરમાં ટીકા થઇ રહી છે. સુશાંતના નિધનથી હરકોઇના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે અભિનેતાએ આત્મહત્યા કેમ કરી. સુશાંત સિંહના ચાહકોથી લઇને બોલીવૂડની કેટલીક હસ્તીઓ તેમજ રાજનેતાઓ પણ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સુશાંતના નિધન પર વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ હતું.

કંગના રનોટ સહિત કેટલીક હસ્તીઓ એવી છે જે સુશાંતની મોત માટે બોલીવૂડમાં નેપોટીઝમને જવાબદાર ઠેરવે છે. ભારતભરમાં લોકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા સુશાંતની આત્મહત્યા સામે રોષ પ્રગટ કરી રહ્યા છે. એવામાં કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પણ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે.

તેમણે પણ બોલીવૂડમાં પરિવારવાદનો મુદ્દો ઉઠાવતા ટ્વીટ કરી હતી કે છિછોરે હિટ થયા પછી સુશાંતે સાત ફિલ્મો સાઇન કરી, પરંતુ છ મહિનાની અંદર તેમની પાસેથી તમામ ફિલ્મો છીનવી લેવાઇ હતી. નેતાએ પણ કંગનાની આરોપ લગાવ્યા હતા કે બોલીવૂડની નિષ્ઠુરતાએ એક પ્રતિભાશાળી અભિનેતાને મારી નાંખ્યો.

જોકે આ બધાની વચ્ચે કેટલાક એવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં સુશાંત સિંહ સાથે દિગ્ગજ કલાકારો ખરાબ વર્તન કરી રહ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. કરણ જોહરના કોફી વિથ કરણના કેટલાક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે જેમાં કરણ જોહર અને તેના મહેમાન કલાકારો સુશાંતને લઇને કેટલીક મજાકભરી કોમેન્ટ કરી રહ્યા છે.

સુશાંતની અવગણના કરી રહ્યા છે. એક અન્ય વીડિયોમાં દિગ્ગજ કલાકાર શાહરુખ અને શાહિદ કપૂર દિવગંત અભિનેતા સુશાંત સિંહ સાથે એવોર્ડ શોમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. જેમાં સુશાંત સિંહ થોડા હેરાન થઇ રહ્યા હોવાનુ દેખાઇ રહ્યુ છે.

આ તમામ વીડિયોને લઇને સુશાંત સિંહની આત્મહત્યાના કારણો સાથે જોડવામાં આવી રહ્યા છે. જોકે એક વાસ્તવિકતા એ પણ છે કે સુશાંત સિંહ જેવા યુવા અભિનેતાની આત્મહત્યાએ ફરી એકવાર બોલીવૂડની ના દેખાતી કાળી છાયાને ઉજાગર કરી છે.

બોલીવૂડના જ ઘણા સિતારા જેવા કે કંગના, રવિના ટંડન, વિવેક ઓબેરોય, ડાયરેક્ટર શેખર કપૂર વગેરે ઇન્ડસ્ટ્રી સામે સુશાંત સિહંની આત્મહત્યા પાછળ કારણભૂત સ્થિતિને લઇને સવાલ ઉભા કરી રહ્યા છે. સુશાંતના મિત્રો સિહત નજીકના કેટલાક લોકોનુ કહેવુ હતુ કે, સુશાંતને ઇન્ડસ્ટ્રીના નામચીન બેનરો દ્વારા બૈન કરાયો હતો. જેથી તે ભારે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો.