હિન્દુ ભક્તો દ્વારા ભારત હિન્દુ સમાજ મંદિરનું બિલ્ડીંગ ખરીદવા માટેની બે અસફળ બીડ છતાં પીટરબરો સિટી કાઉન્સિલે ભારત હિન્દુ સમાજ મંદિરનું બિલ્ડીંગ વેચવા માટે સંમતિ આપતા પીટરબરોના હિન્દુ સમુદાયના સભ્યોમાં વ્યાપક રોષ ફેલાયો છે અને હિન્દુઓના ‘હૃદયભંગ’ થયા છે.
પીટરબરોના રોક રોડ પર આવેલા ન્યુ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સમાં સ્થિત ભારત હિન્દુ સમાજ મંદિર 1986થી સ્થાનિક હિન્દુ સમુદાય માટે દર્શન, પૂજા અને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે અને પીટરબરો, કેમ્બ્રિજશાયર, નોર્ફોક, લિંકનશાયર અને લેસ્ટરશાયરના લગભગ 14,000 ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર હતું. ગત મંગળવારે કાઉન્સિલની કેબિનેટે પુષ્ટિ આપી હતી કે તેના બજેટને સંતુલિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે આ સ્થળ એક અજ્ઞાત બોલી લગાવનારને વેચવામાં આવશે.
આ અંગે મંદિરના ઉપપ્રમુખ એકતા પટેલે જણાવ્યું હતું કે ‘’આ નિર્ણય ખૂબ જ અસ્વસ્થ કરનારો છે. અમે મંદિરનું બિલ્ડીંગ ખરીદવા અને બીડને સુરક્ષિત કરવા માટે વર્ષોથી ભંડોળ એકત્ર કરવા માટે પ્રયાસો કર્યા હતા અને આ માટે ઘણો પ્રચાર અને મહેનત કરી હતી. મંદિર દ્વારા આ મિલકત ખરીદવા માટે £1.3 મિલિયનની ઓફર કરવામાં આવી હતી અને 2011થી અમે કાઉન્સિલ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. અમે આ બિલ્ડીંગ ખરીદવા કોઈ કસર છોડી નથી. ઘણા વૃદ્ધ ભક્તોએ મંદિરને ટકાવી રાખવા માટે દાયકાઓ સમર્પિત કર્યા હતા અને હવે તેમને એક મહત્વપૂર્ણ આસ્થાનું કેન્દ્ર ગુમાવવાનો ડર છે.’’
મંદિરના ટ્રસ્ટી ગૌરી ચૌધરીએ જણાવ્યું હતું કે ‘’કાઉન્સિલ દ્વારા થતું આ વેચાણ ફક્ત મિલકતના વ્યવહાર કરતાં વધુ રજૂ કરે છે. આ મંદિર આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક જીવનનું કેન્દ્રબિંદુ હતું. જે સંપૂર્ણપણે સમુદાયના પ્રયત્નો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને સરકાર પર કોઇ બોજો બન્યા વગર મફતમાં સહાય પૂરી પાડે છે. મંદિર શૈક્ષણિક કાર્યક્રમો, લંચ ક્લબ અને ચેરિટેબલ આઉટરીચ સહિત અઠવાડિયાના સાતેય દિવસ વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે.’’
આ બિલ્ડીંગ પીટરબરો સૂપ કિચન સહિત છ અન્ય ભાડૂતો સાથે શેર કરવામાં આવે છે, જેના વિસ્થાપન અંગે વ્યાપક ચિંતાઓ ઉભી થઇ છે.
એક નિવેદનમાં, મંદિર કમિટીએ ચેતવણી આપી હતી કે વેચાણની અસર “તાત્કાલિક અને નોંધપાત્ર” હશે અને સામાજિક તથા ભાવનાત્મક જીવનરેખા તરીકે આ મંદિર પર આધાર રાખતા ખાસ કરીને વૃદ્ધ સભ્યો માટે મુશ્કેલીરૂપ હશે.
કાઉન્સિલના ફાઇનાન્સ વિભાગના કેબિનેટ મેમ્બર મોહમ્મદ જમીલે જણાવ્યું હતું કે ‘’સત્તાવાળાઓ મંદિર સમુદાયની ચિંતાઓને સમજે છે અને આ બિલ્ડીંગ ખાલી મિલકત તરીકે નહીં પણ ભાડૂતો સાથે વેચવામાં આવી રહી છે. મંદિર સહિતના ભાડૂઆતો હાલના ભાડાપટ્ટા હેઠળ તેમના અધિકારો જાળવી રાખશે અને અધિકારીઓ આગામી પગલાંની ચર્ચા કરવા માટે અસરગ્રસ્ત જૂથો સાથે મુલાકાત કરશે.’’
આ ખાતરીઓ હોવા છતાં, ભક્તોને ડર છે કે મંદિરનું લાંબા ગાળાનું ભવિષ્ય અનિશ્ચિત રહેશે. હિન્દુ સમુદાયના નેતાઓએ ચેતવણી આપી છે કે વિશાળ હિન્દુ વસ્તી આ પૂજા સ્થળ વિના રહી શકે તેમ નથી.














