રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 30 દિવસ પૂર્ણ થઈ ગયા છે. રશિયન સૈનિકોએ ખાર્કિવના એક મેડિકલ સેન્ટર પર હુમલો કર્યો છે. હુમલામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. આ પહેલા ગત સપ્તાહે રશિયાએ મારિયુપોલના એક થિએટરને નિશાન બનાવ્યું હતું, જેમાં 300 લોકોના મોતની શક્યતા છે, તેમ યુક્રેનના એક અધિકારીએ જણાવ્યું છે. અહીંયા લગભગ 1300 લોકોએ શરણ લીધી હતી.
દરમિયાનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નાટો પાસેના ફાઈટર જેટ પૈકી 1 ટકા હિસ્સો માંગ્યો છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે તમારી પાસે હજારો યુદ્ધવિમાન છે, પરંતુ અમને હજુ સુધી એક યુદ્ધ વિમાન આપવામાં આવ્યું નથી. જોકે, અમેરિકી અધિકારી રશિયાના ડરથી યુક્રેનને ફાઈટર પ્લેન આપવાની ના પાડતા રહ્યા છે. યુક્રેને કહ્યું કે, હુમલો શરુ થયા બાદ રશિયાએ 1200 જેટલી ક્રૂઝ મિસાઈલ લોન્ચ કરી છે, પરંતુ આ પૈકી 59 ટકા ક્રૂઝ મિસાઈલોમાં વિસ્ફોટ થયા નથી. યુક્રેનની આર્મીએ દાવો કર્યો કે, રશિયા 9 મે સુધી યુદ્ધ ખત્મ કરવા ઈચ્છે છે, કારણ કે આ દિવસોમાં રશિયા દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જર્મની પરના વિજયદિન તરીકે ઉજવવા ઈચ્છે છે. યુક્રેને છેલ્લા 24 કલાકમાં 200 રશિયન સૈનિકો માર્યા હોવાનો દાવો કર્યો છે. સાથે જ 12 ટેન્ક, 2 વિમાન ધ્વસ્ત કરી દીધા છે. આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને જાહેરાત કરી છે કે રશિયન સૈન્યનો સામનો કરવા માટે અમે યુક્રેનને 6000 મિસાઈલ અને 25 મિલિયન પાઉન્ડ આપીશું.