વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે મહાત્મક ગાંધીને નમન કર્યા હતા. (PIB/PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટેના આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવવા માટે શુક્રવારે અમદાવાદ આવ્યા હતા. તેમણે ગાંધી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમમાં પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ બાદ હૃદયકુંજમાં થોડો સમય પસાર કર્યો. તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી અને તેમને પુષ્પાંજલી આપી હતી. ત્યાં વિઝિટર્સ બુકમાં તેમણે હિન્દીમાં નોંધ લખી હતી.

ગાંધી આશ્રમની વિઝિટર્સ બુકમાં સંદેશ નોંધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે સાબરમતી આશ્રમમાં આવીને, પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંનું પવિત્ર વાતાવરણ, અહીંની સ્મૃતિઓથી આપણે એકાકાર થઈએ છીએ તો સ્વાભાવિક રીતે તપ અને ત્યાગની ભાવના વધી જાય છે.

સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો સંદેશ પણ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પુણ્ય સ્થળ પર ફરી આવીને હું ધન્ય અનુભવી રહ્યો છું. આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતના સ્વતંત્રતા સંગ્રામને દેશવાસીઓ દ્વારા આપવામાં આવી રહેલી કાર્યાંજલી છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ, દરેક મહત્વની ક્ષણને યાદ કરશે જ અને ભવિષ્ય નિર્માણ માટે નવી ઉર્જાની સાથે આગળ વધશે.

મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપુના આશીર્વાદથી અમે ભારતવાસી, પોતાના કર્તવ્યનું પાલન કરતા, અમૃત મહોત્સવના ઉદ્દેશને અવશ્ય સિદ્ધ કરીશું.