ભારતમાં નવા વર્ષના પ્રથમ જ સપ્તાહમાં કોરોનાના કેસમાં ખૂબ જ ગંભીર વધારો જોવા મળ્યો છે. એક જ અઠવાડિયામાં કોરોનાના રોજિંદા કેસ પાંચ-સાત હજારથી વધીને ૧.૩૦ લાખની નજીક પહોંચી ગયા છે ત્યારે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવનારા 15 દિવસમાં દેશમાં આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બનશે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે પણ ચેતવણી આપી છે કે, દેશમાં આવનારા દિવસોમાં કોરોનાના રોજિંદા કેસની સંખ્યા 4થી 8 લાખ સુધી પહોંચી શકે છે.
બીજી લહેરમાં દર 10મી વ્યક્તિએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું કે ઓમિક્રોનના કારણે મોત નથી થતા તેવા અહેવાલો ખોટા છે. ઓમિક્રોનના કારણે પણ કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે. આ એક માઈલ્ડ વાઈરસ હોઈ શકે છે, પરંતુ તેનાથી આત્મસંતુષ્ટ થવાની જરૂર નથી. ડો. સુશીલા કટારિયાએ કહ્યું કે કોરોનાના ચેપની માહિતી માત્ર આરટી-પીસીઆર ટેસ્ટ અથવા એન્ટીજેન અથવા રેપિડ ટેસ્ટથી જ થઈ શકે છે. તેથી કોઈને પણ શ્વાસ લેવામાં તકલીફ અથવા શરીરમાં દુઃખાવો થતો હોય તો તેને કોરોના સંબંધિત બીમારી સમજવી જોઈએ અને પોતાને આઈસોલેટ કરી ટેસ્ટ કરાવવા જોઈએ.
આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે, 15 જાન્યુઆરીની આસપાસ મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના નવા કેસની સંખ્યા ખૂબ વધુ પ્રમાણમાં હશે. જોકે, તેમણે જણાવ્યું હતું કે, દેશમાં માર્ચ પછી ત્રીજી લહેર રહેવાની શક્યતા ઓછી છે. દરમિયાન મિશિગન યુનિવર્સિટીમાં બાયોસ્ટેટિસ્ટિક્સનાં પ્રોફેસર ભ્રમર મુખરજીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ભારતમાં બીજી લહેરમાં મૃત્યુ પામેલા દર્દીઓની સરખામણીએ ત્રીજી લહેરમાં 50 ટકા લોકોના મોત થવાની આશંકા છે.