ઉત્તરપ્રદેશની આદિત્યનાથ યોગી સરકારે રાજ્યની તમામ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વર્તમાનપત્રનું વાંચન ફરજિયાત બનાવવા માટે એક આદેશ જારી કર્યો હતો. સરકારનો હેતુ બાળકોને વાંચનની ટેવ પાડવાનો તથા સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરવાનો છે. નવા આદેશ મુજબ વિદ્યાર્થીઓએ હવે દૈનિક પ્રવૃત્તિ તરીકે દરરોજ 10 મિનિટ અખબાર વાંચવું પડશે. બાળકોમાં તાર્કિક અને વિવેચનાત્મક વિચારસરણીને મજબૂત બનાવવાનો પણ સરકારનો ઉદ્દેશ છે.સરકારે ‘નો બુકે, ઓન્લી બુક’ ઝુંબેશ પણ શરૂ કરી છે, જે હેઠળ શાળાના કાર્યક્રમોમાં ટ્રોફીને બદલે પુસ્તકો ભેટમાં આપવામાં આવશે.
આદેશ મુજબ શાળાના પુસ્તકાલયોમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષાના અખબારો ઉપલબ્ધ કરાવવા પડશે.આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સવારની પ્રાર્થના દરમિયાન ઓછામાં ઓછા 10 મિનિટ અખબાર વાંચન માટે દરરોજ ફાળવવી જોઈએ. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને રમતગમતના સમાચારો વારાફરતી વાંચશે.
સરકારે જણાવ્યું હતું કે આ પહેલથી વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાન, શબ્દભંડોળ, વિવેચનાત્મક વિચારસરણી, એકાગ્રતા અને સામાજિક જાગૃતિમાં વધારો થશે. તેનાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ સારી રીતે તૈયાર કરી શકાશે અને ફેક ન્યૂઝના દૂષણથી બચાવી શકાશે.
અખબાર વાંચન ઉપરાંત ધો. 9 થી 12 વિદ્યાર્થીઓને પોતાની શાળાના અખબારો અથવા સામયિકો પ્રકાશિત કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ પ્રોત્સાહિત કરશે.
અગાઉ સરકારે 2 નવેમ્બરે એક આદેશ જારી કરીને વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચનની ટેવ કેળવવા તથા સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને રોકવા માટે વ્યાપક વાંચન અભિયાન હાથ ધર્યું હતું.













