આરોગ્ય ક્ષેત્રે કચ્છને આત્મ નિર્ભર બનાવવાના કચ્છી લેવા પટેલ સમાજના પ્રયાસના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભુજ ખાતે હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, કેન્સર, ન્યુરો સર્જરી સહિતના ગંભીર અકસ્માતમાં રાહત દરે સારવાર આપવાના હેતુ સાથે શરૂ કરાયેલ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ હોસ્પિટલના વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી ભાષામાં વાતની શરૂઆત કરી ઉપસ્થિત સૌને આ, મડી કે મૂજા જય સ્વામિ નારાયણ કહીને સૌના દિલ જીતી લીધા હતા. મુંજે કચ્છી ભા ભેણુ કી અયો… મજે મેં…. સંબોધન કરીને હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગની સૌ ઉપસ્થિતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે દિલ્હીથી ડીજીટલ માધ્યમથી સંબોધન કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ભૂકંપથી થયેલી તારાજી પાછળ છોડીને કચ્છીજનો પોતાના પરિશ્રમ થકી પોતાનું ભાગ્ય લખી રહ્યા છે.
આધુનિક સ્વાસ્થ્ય સુવિધા કચ્છને પ્રાપ્ત થવા બદલ શુભેચ્છા પાઠવતા વડાપ્રધાનશ્રીએ કે.કે. સુપર સ્પશ્યિલિટી હોસ્પિટલ કચ્છને સસ્તી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડી ઉત્તમ ઇલાજની ગેરન્ટી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે કરેલ સંકલ્પ પૂર્ણ કર્યો છે તે કર્તવ્ય ભાવ સમાજ પ્રત્યે નિષ્ઠા, સદભાવના, સંવેદના એ મોટી પૂંજી છે. કચ્છનો ક કર્તુત્વના ક તરીકે ઓળખાય તેવા ડગ માંડી રહ્યા છો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભૂકંપ થી દર્દનાક સ્થિતિમાં કચ્છીઓ સાથે બંધાયેલ નાતાના પરિણામે હું કચ્છને છોડી શકતો નથી અને કચ્છ મને છોડી શકતું નથી. આવું સૌભાગ્ય જાહેર જીવનમાં બહુ ઓછા લોકો ને મળે છે તે મને મળ્યું છે.
ગુજરાત રાજ્યમાં આરોગ્ય અંગેની સુવિધાઓ અંગે જણાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત ચારેય દિશામાં પ્રગતિ કરી રહ્યુ છે. ગુજરાતની પ્રગતિની ફક્ત ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં નોંધ લેવાઇ રહી છે. બે દશક પહેલા ગુજરાતમાં ફક્ત ૯ મેડીકલ કોલેજ અને ડૉક્ટરી અભ્યાસ માટે ૧૧૦૦ જેટલી સીટ ઉપલબ્ધ હતી. જેની સામે આજે ૩ ડઝન જેટલી મેડીકલ કોલેજ, એઇમ્સ અને ૬૦૦૦ થી વધુ ડૉક્ટરી અભ્યાસ માટેની સીટો ઉપલબ્ધ છે. રાજ્યની અન્ય મેડીકલ કોલેજના અપગ્રેડેશનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કીડની અને ડાયાલીસીસ માટે તમામ જિલ્લાઓમાં ડાયાલીસીસની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
ફક્ત હોસ્પિટલોના નિર્માણથી સમસ્યાઓનું સમાધાન ન થાય, સમાજમાં એવી જાગૃતિ લાવીએ, એવું વાતાવરણ અને સ્થિતિનું નિર્માણ કરીએ કે હોસ્પિટલ જવું જ ન પડે. આ બધી મુસીબતોનો ઉપાય જનજાગૃતિ છે.
કચ્છનો રણોત્સવ સમગ્ર દુનિયામાં ખ્યાતિ પામ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદેશમાં વસતા કચ્છીઓને અપીલ કરતાં કહ્યું કે, વિદેશમાં વસતાં કચ્છી પરિવારોને વિનંતી છે કે, દર વર્ષે વિદેશમાં રહેતો એક કચ્છી પરિવાર ઓછામાં ઓછા પાંચ વિદેશીઓને કચ્છનું રણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે મોકલે. જેથી કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં વિદેશી નાગરિકો આવે જેથી ટુરિઝમ ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં રોજગારી ઉત્પન કરી શકાય તેમ છે.
તો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં સ્વસ્થ સમાજ અને વ્યક્તિ મહત્વપૂર્ણ છે એમ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને કચ્છના વિકાસની તેમની કટિબદ્ધતાના પગલે ભૂકંપ બાદ કચ્છ બેઠુ થઇને દોડતું થયું છે. ઝડપથી વિકસતા કચ્છ જિલ્લામાં આજે નવી સ્વાસ્થ્ય સેવાનો ઉમેરો થઇ રહ્યો છે. કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના શુરૂ થતા હવે કચ્છના લોકોને ગંભીર અને જટીલ બિમારીની સારવાર ભુજમાં જ મળી રહેશે.
કચ્છના ગ્રામિણ અને વિશાળ વિસ્તાર માટે આજે પાયાની જરૂરીયાત એવી ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સ સેવાને શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ ૧૦૮ની સેવા પ્રશંસનીય છે. હાલે ૮૦૦ જેટલી એમ્બ્યુલન્સ સેવા નાગરિકો માટે જીવન રક્ષાનો પર્યાય બની છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ હોસ્પિટલના વિવિધ ૧૯ વિભાગોને ખુલ્લા મુકતા કચ્છી માડુઓની ઉદારતા અને સેવાભાવનાને બિરદાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં વસતા કચ્છીઓ આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે જે સૌ કોઇ માટે ગૌરવની વાત છે.
સ્વાગત પ્રવચન આપતા ગોપાલભાઇ માવજીભાઇ ગોરસીયાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે લાલ કિલ્લાથી પરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્ર અર્પણના આહવાનને ઝીલી આરોગ્ય ક્ષેત્રે વિશેષ એવા સરહદી વિસ્તારોમાં સેવા પુરી પાડવી અને કચ્છને આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાનની પ્રેરણાથી પટેલ ચોવીસી લેવા પટેલ સમાજે આ કરૂણાધામનું દાતાઓના સહયોગથી સર્વના સહયોગથી કરેલ કાર્યને રાષ્ટ્ર અર્પણ કરીએ છીએ.
કેશરાજી પટેલે કચ્છી લેવા પટેલ સમાજ, શ્રી કચ્છી લેવા પટેલ એજયુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ, શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરી દેશવિદેશના દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ પામેલ આ કરૂણાધામના ઉદેશ્ય રજુ કરી સમાજનું સંગઠન એ જ પ્રગતિનું સોપાનના ધ્યેયને રજુ કર્યુ હતું. રાષ્ટ્રના અમૃત પર્વ મહોત્સવ હેઠળ કચ્છને આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા બીડું ઝડપ્યું છે એવા જમીન દાતા મુખ્યદાતાશ્રી કે.કે.પટેલ, અમરજીબેન વેકરીયા, જેવા વિવિધ દાતાઓનું વતનપ્રેમનું કરૂણાધામ ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાનના હસ્તે દાતા સર્વશ્રીઓને હોસ્પિટલના નામકરણ દાતા કે.કે.પટેલ પરિવારનું, હસમુખભાઈ કાનજી ભુડિયા, શામજીભાઇ દબાસીયા, દીપેશભાઈ શ્રોફ, વેલજી ઝીણા ગોરસીયા, શશીકાંતભાઈ વેકરીયા, ધનજીભાઈ કરશન વરસાણી, રવજીભાઈ ગોવિંદ વરસાણી, લક્ષ્મણભાઇ ભીમજી રાઘવાણી, નારાણભાઈ કેરાઈ, કલ્યાણભાઈ રવજી વેકરીયા, વેલજીભાઈ પિંડોરીયા, કાનજીભાઈ ભીમજી રાઘવાણી, કરશનભાઈ રવજી મનજી કારા, કે.કે. જેસાણી, કેશરાભાઈ વિશ્રામ ભુડિયા, હરસુખભાઈ ગોવિંદજી ઠક્કર જેવા અગ્રણીઓનું સન્માન કરાયું હતું.