ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ

ત્રણ લશ્કરી દળો વચ્ચેના તાલમેલમાં વધારો કરવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણને ત્રણેય સેનાને સંયુક્ત આદેશ જારી કરવાની સત્તા આપી છે. આ મહત્ત્વના નિર્ણયથી લશ્કરી દળોમાં જૂની પ્રથાનો અંત આવ્યો છે. અગાઉની પ્રથામાં ત્રણેય દળો એક જ વિષયો પર અલગ-અલગ આદેશ જારી કરતાં હતાં.

આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે વધુ સુમેળ અને સંકલન માટે સરકાર ઇન્ટિગ્રેટેડ થીએટર કમાન્ડનો અમલ કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે આ હિલચાલનું વિશેષ મહત્ત્વ છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સંયુક્ત ઇન્સ્ટ્રક્શન અને સંયુક્ત આદેશોની મંજૂરી, જાહેરાત અને ક્રમાંકન અંગેનો પ્રથમ સંયુક્ત આદેશ મંગળવારે જારી કરાયો હતો. આ આદેશમાં  ક્રોસ-સર્વિસ સહકાર વધારવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને આ સત્તાઓ આપવાના નિર્ણયને સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોના આધુનિકીકરણ અને પરિવર્તન તરફનું એક મુખ્ય પગલું ગણાવ્યું હતું. આનાથી ત્રણેય સેનાઓમાં પારદર્શકતાં, સંકલન અને વહીવટી કાર્યક્ષમતામાં સુધારો થશે.

LEAVE A REPLY