ત્રણ લશ્કરી દળો વચ્ચેના તાલમેલમાં વધારો કરવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણને ત્રણેય સેનાને સંયુક્ત આદેશ જારી કરવાની સત્તા આપી છે. આ મહત્ત્વના નિર્ણયથી લશ્કરી દળોમાં જૂની પ્રથાનો અંત આવ્યો છે. અગાઉની પ્રથામાં ત્રણેય દળો એક જ વિષયો પર અલગ-અલગ આદેશ જારી કરતાં હતાં.
આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે વધુ સુમેળ અને સંકલન માટે સરકાર ઇન્ટિગ્રેટેડ થીએટર કમાન્ડનો અમલ કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે આ હિલચાલનું વિશેષ મહત્ત્વ છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સંયુક્ત ઇન્સ્ટ્રક્શન અને સંયુક્ત આદેશોની મંજૂરી, જાહેરાત અને ક્રમાંકન અંગેનો પ્રથમ સંયુક્ત આદેશ મંગળવારે જારી કરાયો હતો. આ આદેશમાં ક્રોસ-સર્વિસ સહકાર વધારવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને આ સત્તાઓ આપવાના નિર્ણયને સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોના આધુનિકીકરણ અને પરિવર્તન તરફનું એક મુખ્ય પગલું ગણાવ્યું હતું. આનાથી ત્રણેય સેનાઓમાં પારદર્શકતાં, સંકલન અને વહીવટી કાર્યક્ષમતામાં સુધારો થશે.
