વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએ ગઠબંધનના ઉમેદવાર સી પી રાધાકૃષ્ણન (PTI Photo)

ભારતમાં 17મા ઉપરાષ્ટ્રપતિની 9 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના સત્તાધારી ગઠબંધન એનડીએએ તેના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્રના હાલના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનની પસંદગી કરી હતી. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે., ચૂંટણીનું રિઝલ્ટ પણ મતદાનના દિવસે જ એટલે કે 9 સપ્ટેમ્બરે જાહેર થશે.

કોંગ્રેસની આગેવાની હેઠળ વિરોધ પક્ષો પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખે તેવી પૂરી શક્યતા હોવાથી સત્તાધારી એનડીએ ગઠબંધન અને કોંગ્રેસના વડપણ હેઠળના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર જોવા મળશે. જોકે રાજ્યસભા અને લોકસભાનું કુલ સંખ્યાબંળ જોતા એનડીએ ગઠબંધનનું પલ્લુ ભારે છે અને તેના ઉમેદવારનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.

21 જુલાઈએ જગદીપ ધનખડના ઓચિંતા રાજીનામાથી આ ચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ છે. ધનખડે બે વર્ષનો કાર્યકાળ બાકી હતો ત્યારે રાજીનામું આપ્યું હતું. અગાઉ વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક સંયુક્ત ઉમેદવાર ઉભા રાખે તેવી શક્યતા છે.

જો જરૂર પડશે તો મતદાન 9 સપ્ટેમ્બરે સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન સંસદ ભવનના પહેલા માળે રૂમ નંબર F-101માં યોજાશે. ચૂંટણીનું રિઝલ્ટ પણ 9 સપ્ટેમ્બરે જ જાહેર થશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઇલેક્ટોરલ કોલેજમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્યસભાના નોમિનેટેડ સભ્યો પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની ઇલેક્ટોરલ કોલેજમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના 12 નોમિનેટેડ સભ્યો અને લોકસભાના 543 સભ્યોનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યસભામાં પાંચ અને લોકસભામાં એક બેઠક ખાલી છે. તેનાથી બંને ગૃહોનું સંખ્યાબળ 782 છે અને તમામ મતદારો મતદાન કરે તો વિજેતા ઉમેદવારને 391 મતોની જરૂર પડશે.

ઉપરાષ્ટ્રપતિ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે. તેઓ પાંચ વર્ષના કાર્યકાળ માટે સેવા આપે છે, પરંતુ કાર્યકાળ પૂર્ણ થયા પછી પણ ઉત્તરાધિકારી પદ સંભાળે ત્યાં સુધી તેઓ પદ પર રહી શકે છે.

લોકસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAને 542 સભ્યોમાંથી 293 સભ્યોનું સમર્થન છે. શાસક ગઠબંધનને રાજ્યસભામાં પણ 129 સભ્યોનું પણ સમર્થન છે. તેથી શાસક ગઠબંધનને 422 સભ્યોનું સમર્થન છે, જે પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટેના 391 મતથી વધુ છે.

LEAVE A REPLY