પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના સમયમાં દેશમાં કરોડો લોકોની નાણાકીય હાલત કથળી હતી અને અનિશ્ચિતતાના કારણે તેમણે પોતાની બચત પણ ખર્ચી નાખવી પડી છે. કોવિડના કારણે ગુજરાતીઓ પણ નાણાભીડમાં મુકાયા હતા અને જુદા જુદા ખર્ચને પહોંચી વળવા માટે તેમણે સોનું વેચવાનો સમય આવ્યો હતો.

એક અભ્યાસ પ્રમાણે કોવિડના સમયમાં મેડિકલ ખર્ચને પહોંચી વળવા માટે લોકોએ સોનું વેચવું પડ્યું છે. કોવિડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં લોકોએ લગભગ 28 ટન સોનું વેચ્યું હતું.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના અંદાજ પ્રમાણે એપ્રિલ 2020થી ડિસેમ્બર 2021 વચ્ચે ભારતમાં 142 મેટ્રિક ટન સોનું રિસાઈકલ કરવામાં આવ્યું હતું. તેમાંથી ગુજરાતનો હિસ્સો લગભગ 20 ટકા જેટલો છે.

નિષ્ણાતો માને છે કે કોવિડનો આતંક હળવો થયો ત્યાર પછી પણ દરેક સેક્ટરમાં એક સરખી રિકવરી આવી ન હતી. તેથી ઘણા લોકોએ પોતાની તમામ બચત ખતમ થઈ ગયા પછી સોનું વેચવાની નોબત આવી હતી.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેરમાં ઘણા પરિવારોએ કમાનારી એકમાત્ર વ્યક્તિને ગુમાવી છે. તેથી તેમણે ઇમરજન્સી મેડિકલ સ્થિતિમાં સોનું વેચવું પડ્યું છે.

તેના કારણે ગોલ્ડ રિસાઈક્લિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે 2020માં સોનાના રિસાઇક્લિંગમાં વધારો થયો હતો. 2021માં ગોલ્ડના રિસાઇક્લિંગમાં 15 ટકાનો ઘટાડો થયો હતો.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ રિસાઈક્લિંગમાં 22 ટકાનો ઘટાડો થયો હતો. એપ્રિલથી જૂન 2021 દરમિયાન કોરોનાની બીજી લહેર હતી ત્યારે લોકોએ સૌથી વધુ પ્રમાણમાં ઘરનું સોનું વેચ્યું હતું. વાસ્તવમાં આ સમયે મેડિકલ ખર્ચને પહોંચી વળવા માટે રિસાઇક્લિંગમાં 33 ટકાનો વધારો થયો હતો.