દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મેચ બાદ ભારતની ટીમ અને ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન(ANI Photo)

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શરમજનક પ્રદર્શન કર્યા બાદ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમના પરાજયથી ભારત માટે હવે સેમિફાઇનલમાં પ્રવેશ કરવાનું મુશ્કેલ બન્યું છે. હવે ન્યૂઝીલેન્ડની ટીમ મેચમાં હારનો શિકાર બને અને ટીમ ઈન્ડિયા કોઈ નબળી ટીમ સાથે મોટા અંતરથી જીત હાંસલ કરે તો ભારતના અંતિમ ફોરમાં જગ્યા મળી શકે છે. આવી સ્થિતિમાં જ ભારત અને ન્યૂઝીલેન્ડના અંક બરાબર થઈ શકશે અને પછી સારી રન રેટવાળી ટીમ ફાઈનલ ફોરમાં જગ્યા બનાવશે.

દુબઇના ઇન્ટરનેશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાના બેટર્સે ખરાબ પ્રદર્શન કર્યું હતું અને 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાન પર 110 રન બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 14.3 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 111 રન બનાવીને ભારત સામે 8 વિકેટથી જીત હાંસલ કરી હતી. ટી-20 વર્લ્ડ કપમાં સતત બીજી હાર બાદ ભારત માટે સેમિફાઈનલનો રસ્તો મુશ્કેલીભર્યો બન્યો છે.

ભરતના બેટર્સે ગેરજવાબદાર બનીને ખરાબ શોટ રમ્યા હતા. ભારતીય ઈનિંગ્સમાં 54 ડોટ બોલ રહ્યા હતા, એનો મતલબ એ થયો કે 9 ઓવરોમાં તો રન જ બનાવ્યા નથી. ભારતીય ટીમ સિલેક્શનમાં ફરી એકવાર ચૂક કરી ગઈ હતી. ફોર્મમાં ચાલી રહેલાં પ્લેયર્સ પર ભરોસો ન કરવો ટીમ મેનેજમેન્ટને ભારે પડી ગયો હતો. ભારત માટે કેપ્ટન કોહલી અને રોહિત શર્માનું ખરાબ ફોર્મ પણ ચિંતાજનક રહ્યું હતું. મિ઼ડલ ઓર્ડર પણ નિષ્ફળ સાબિત થયો હતો, હાર્દિક પંડ્યા પણ કાંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાના બેટર્સે ધબડકો માર્યો હતો અને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવવામાં ઓપનર્સ નિષ્ફળ સાબિત થયા હતા. આજે રોહિત શર્માના સ્થાને કેએલ રાહુલ અને ઈશાન કિશનને ઓપનિંગમાં ઉતારવામાં આવ્યા હતા. પણ કેપ્ટન કોહલીનો આ નિર્ણય નિષ્ફળ સાબિત થયો હતો. ઈશાન કિશન 4 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. જ્યારે કેએલ રાહુલ પણ 18 રન બનાવી શક્યો હતો. જો કે, તે બાદ પણ ભારતીય બેટ્સમેન બેટિંગમાં નિષ્ફળ સાબિત થયા હતા. ત્રીજા સ્થાને ઉતરેલો રોહિત શર્મા પણ 14 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાન સામેની મેચમાં સારું પ્રદર્શન કરનાર કેપ્ટન કોહલી આજની મેચમાં નિષ્ફળ સાબિત થતાં 9 રન બનાવી શક્યો હતો. ઋષભ પંતે 12 રન તો, હાર્દિક પંડ્યા 23 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ વતી સૌથી વધારે રવીન્દ્ર જાડેજાએ 26 રન બનાવ્યા હતા. જ્યારે શાર્દુલ ઠાકુર 0 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી મળેલ 110 રનોનો સ્કોર ચેઝ કરવામાં એકદમ સરળ હતો. 110 રન સાથે ન્યૂઝીલેન્ડની જીત પાક્કી માની લેવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર્સે સારી શરૂઆત અપાવી હતી. માર્ટિન ગુપ્તિલ 20 રનો પર આઉટ થયો હતો, પણ મિશેલે 35 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 49 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જે બાદ કેન વિલિયમસને અણનમ 33 રન બનાવીને ન્યૂઝીલેન્ડની ટીમને શાનદાર જીત અપાવી હતી. ભારત તરફથી માત્ર જસપ્રિત બુમરાહને 2 વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી.