Jan. 7, 2020. (PTI Photo/

ત્રણ ટી-20ની પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ જતાં નિરાશ ભારતીય ક્રિકેટ પ્રેમીઓને અહીં રમાયેલી બીજી ટી-20માં રસાકસી જોવા ન મળી, પણ ભારતે શ્રીલંકાને આસાનીથી સાત વિકેટે હરાવી દેતાં હાશકારો જરૂર થયો છે. બીજી આંશિક નિરાશા જસપ્રિત બુમરાહના પુનરાગમન સાથે થોડા નબળા પ્રદર્શનની હતી. જોકે, બુમરાહ તરખાટ મચાવે એ પહેલા નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે નબળા શ્રીલંકાને આ મેચમાં પણ નબળું બનાવી દીધું હતું.

શ્રીલંકાએ હવે સિરિઝ બરાબર કરવા માટે દસમી જાન્યુઆરીએ પુનામાં રમાનારી ત્રીજી ટી-20 મેચ જીતવી જરૂરી છે. જોકે, ભારતીય ટીમની સામે કાગળ ઉપર પણ નબળી શ્રીલંકન ટીમ કોઈ ચમત્કાર કરે તો જ સિરિઝ બરાબર થઈ શકે તેમ છે. આગામી મેચમાં બુમરાહ અને ધવન બંને પુનરાગમનને યાદગાર બનાવવા પ્રયાસ કરશે તેમાં કોઈ બેમત નથી.

ભારત સામે શ્રીલંકાની કંગાળ બેટિંગે માત્ર 143 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. ભારતીય ઓપનર કે. એલ. રાહુલ અને ધવને જે રીતે શરૂઆત કરી હતી એ જોતાં જ ખ્યાલ આવી ગયો હતો કે શ્રીલંકન બોલરો હાવિ નહીં થઈ શકે. રાહુલે આવતાંની સાથે જ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. ભારતની પહેલી વિકેટ છેક 71ના સ્કોરે પડી હતી. જોકે, ત્યાં સુધીમાં રાહુલે 32 બોલમાં છ ચોગ્ગા સાથે વ્યક્તિગત 45 રનનું યોગદાન આપી દીધું હતું. સામે છેડે ધવન સ્થિર અને સંતુલિત બેટિંગ કરી રહ્યો હતો. તેની સાથે જોડાયેલા શ્રેયસ ઐયરે વધુ તોફાની બેટિંગનો પરિચય આપ્યો હતો.

જોકે ઇજા બાદ પુનરાગમન કરનાર શિખર ધવને 29 બોલમાં 32 રન ફટાકર્યા બાદ કમનસીબે લેગ બિફોર થયો હતો. ત્યારબાદ રમતમાં કેપ્ટન કોહલી જોડાયો હતો. કોહલીએ તેના સ્વભાવ પ્રમાણે આવતાંની સાથે જ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. કારણ કે ટાર્ગેટ બહુ મુશ્કેલ નહોતો અને પ્રેશર જરાય અનુભવાતું નહોતું. ઐયરે માત્ર 26 બોલમાં 34 રન ફટકારી ભારતને વિજયની નજીક લાવી દીધું હતું. સામે છેડે કેપ્ટન કોહલીએ પણ 17 જ બોલમાં 30 રન ફટકારી ભારતને 17.3 ઓવરમાં જ 144 રને પહોંચાડી દીધું હતું.

ભારતે ટોસ જીતીને પહેલી ફિલ્ડિંગ પસંદ કરી હતી. ડે-નાઇટ મેચ હોવાના કારણે ઝાકળ ઉપરાંત જસપ્રિત બુમરાહના પુનરાગમનના કારણે ભારતનો બોલિંગ પાવર પણ વધુ દમદાર બન્યો હોવાના કારણે ભારતે આવો નિર્ણય લીધો હોઈ શકે. અલબત્ત બુમરાહ પહેલી મેચમાં ધારી સફળતા મેળવી શક્યો નહોતો. તેણે ચાર ઓવરમાં 38 રન આપીને એક જ વિકેટ ઝડપી હતી. અન્ય ભારતીય બોલર શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની અને કુલદીપ યાદવ વધારે હાવિ રહેતા શ્રીલંકાનો એકપણ બેટ્સમેન અર્ધ સદી સુધી પણ પહોંચી શક્યા નહોતા.