કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે કેશોદ એરપોર્ટ પર હવાઇ સેવાઓ માટેની આધુનિક સેવાઓનુ પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે ગુજરાતના જમાઇ છે તેમ જણાવી આજે કેશોદને વિશેષ સેવાઓ આપવી છે ત્યાંથી વાતનો પ્રારંભ કરીને કહયું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સામાન્ય માણસને લક્ષમાં રાખીને ‘ઉડે દેશકા આમ આદમી’ અંતર્ગત હવાઇ સેવાઓ શરૂ થઇ રહી છે. કેશોદ એરપોર્ટના આધુનીકરણના ઉદ્ઘાટન પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી કેશોદ એરપોર્ટમાં સેવાઓ બંધ હતી તે રૂ.૨૫ કરોડના ખર્ચે ફરી નિર્માણીધીન કરાયું છે. કેશોદ-મુંબઇ બાદ હવે આગામી સમયમાં કેશોદને અમદાવાદ સાથે પણ જોડાશે. તેઓએ ગુજરાતને ૬ વિમાન સેવાઓની ભેટ આપતા ગુજરાતમાં અને દેશમાં આત્મ નિર્ભર ભારત અંતર્ગત વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ચાલી રહેલ હવાઇ પ્રોજેક્ટની માહિતી આપી ગુજરાતને બે નવા ગ્રીન ફીલ્ડ હવાઇ મથક હિરાસર અને ધોલેરામાં મળશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં વધુને વધુ આવાગમન સુવિધા મળે એ માટે અમદાવાદથી અમૃતસર, આગ્રા, રાંચી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર થી ૨૭ એપ્રીલથી દિલ્હીની ફ્લાઇટ શરૂ થનાર છે. આમ, ગુજરાતના દરેક વિસ્તારને દેશની આર્થિક રાજધાની સાથે જોડવામાં આવી રહ્યું છે. અંતમાં તેઓએ તેમના પૂર્વજોનો સોમનાથ સાથેનો નાતો અને મહાત્મા ગાંધીને-કેશોદના ઇતિહાસને યાદ કરીને ગુજરાતના અગ્રીમ વિકાસ માટે કેન્દ્ર સરકાર ખાસ કરીને નાગરિક ઉડ્યન મંત્રાલય કટ્ટીબદ્ધ છે તેમ જણાવ્યું હતું. મુંબઈ થી કેશોદ વચ્ચે હાલ પ્રારંભિક તબક્કામાં અઠવાડિયામાં ત્રણ દિવસ સેવાનો લાભ મળશે.