
ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં અસાધારણ યોગદાન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બુધવારે ‘સ્પીકર ઓફ ધ કેનેસેટ મેડલ’થી બહુમાન કરાયું હતું. ઇઝરાયેલનું સંસદનું આ સર્વોચ્ચ સન્માન છે. ભારતીય વડાપ્રધાન આ મેડલ મેળવનારા પ્રથમ નેતા છે. ઇઝરાયલી સંસદમાં સંબોધન કર્યા બાદ સ્પીકર અમીર ઓહાનાએ વડાપ્રધાનને આ એવોર્ડ એનાયત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કેનેસેટ મેડલ પ્રાપ્ત કરીને મને ખૂબ જ સન્માનની લાગણી થાય છે. હું તેને નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. આ સન્માન કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ ભારત અને ઇઝરાયલ વચ્ચેની સ્થાયી મિત્રતાનું બહુમાન છે. તે આપણા બંને રાષ્ટ્રોને માર્ગદર્શન આપતા સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.
પીએમ મોદી એક દુર્લભ વિશ્વ નેતા છે જેમને ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી ટોચના પુરસ્કારો મળ્યા છે.2018માં પીએમ મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી નવાજવામાં આવ્યા હતા, જે વિદેશી નેતાઓ માટે સર્વોચ્ચ પેલેસ્ટાઇનીય સન્માન છે.
પીએમ મોદીના વિવિધ દેશોના 28થી વધુ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો અત્યાર સુધી સન્માન કરાયું છે. જેમાં તાજેતરના સન્માનો જેમ કે ઓર્ડર ઓફ ઓમાન અને ઇથોપિયાના ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા અને કુવૈતના ઓર્ડર ઓફ મુબારક અલ-કબીરનો સમાવેશ થાય છે.











