અમદાવાદના ભદ્રકિલ્લાની 22 માર્ચના જનતા કર્ફ્યૂ સમયની તસવીર (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અમદાવાદ સહિત રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. પોલીસ વડા આશિષ ભાટિયાએ સોમવારે, 7 ડિસેમ્બરે રાજ્યના ચાર મહાનગરો-અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. આ ચારેય શહેરોમાં નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે.

રાજ્યમાં દિવાળી તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો છે. જેને પગલે અગાઉ અમદાવાદ શહેરમાં 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. જો કે આમ છતાં મહામારીએ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર મુખ્ય શહેરોમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બરે આ રાત્રિ કર્ફ્યૂનો છેલ્લો દિવસ હતો. જો કે 15 દિવસના આ રાત્રિ કર્ફ્યૂ છતાં રાજ્યમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા નથી અને દૈનિક 1500 જેટલા કેસો સામે આવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં હજુ પણ ગંભીર સ્થિતિ જ છે. જ્યારે અમદાવાદ શહેરમાં તો 10-12 મોત થઈ રહ્યાં છે. વાસ્તવમાં તો સ્મશાનોમાં અંતિમવિધિ કરવા માટે લાઈનો લાગેલી જોવા મળે છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરે અમદવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.