નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સંકુલના એક સ્ટાફના પરિવારના સભ્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં સંકુલના 125 સ્ટાફ ક્વાર્ટર્સ સીલ કરવામાં આવ્યા છે અને તેમાં વસનારાઓને સેલ્ફ આઇસોલેશન સખ્તાઇથી પાળવાની તાકીદ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ભવનના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે એક સફાઇ કર્મચારીની પુત્રવધૂની માતા સાત આઠ દિવસ પૂર્વે કારોલબાગ નજીકની હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામી હતી. મૃતકની પુત્રીને પણ ચેપ લાગતાં સમગ્ર પરિવારને બિરલા મંદિર નજકની આઇસોલેશન ફેસલિટીમાં મોકલી અપાયો છે. રાષ્ટ્રપતિ ભવનમાં પીડિત સ્ટાફના ક્વાર્ટર અને અન્ય તમામ મકાનોની સાફ સફાઇ કરવામાં આવી છે.

ગયા મહિને રાષ્ટ્રપતિ ભવનમાં બ્રેકફાસ્ટ મીટીંગમાં ભાજપના સાંસદ દુષ્યંતસિંહની હાજરીના પગલે રાષ્ટ્રપતિ કોવિન્દે તમામ મિલન મુલાકાતો રદ કરી છે. દુષ્યંતસિંહ બોલિવુડ ગાયિકા કનિકા કપુરની પાર્ટીમાં હાજર રહ્યા હતા. આ પાર્ટી બાદ દુષ્યંતસિંહ અને તેમના માતા વસુંધરા રાજે સેલ્ફ આઇસોલેશનમાં રહ્યા હતા.