ભારતની રાજધાની દિલ્હીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોના-ઓમિક્રોનના વધી રહેલા કેસોને ધ્યાનમાં વિવિધ નિયમો-પ્રતિબંધો વધુ કડક કરાશે. પાટનગરમાં વૈજ્ઞાનિક રીતે નિયંત્રણો લાદી શકીએ તે માટે જુલાઈમાં અમે ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન GRAP બનાવ્યો હતો, હવે દિલ્હીમાં GRAP અમલમાં લાવવાનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત યલો એલર્ટ લાગુ થશે અને પ્રતિબંધો પણ લાદવામાં આવશે.
દિલ્હીમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને સમીક્ષા બેઠક પછી અરવિંદ કેજરીવાલે નિયમોના અમલીકરણ પર વધુ ધ્યાન આપવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે બજારોમાં ઘણી ભીડ છે, લોકો કોરોના નિવારણના નિયમોનું પાલન નથી કરી રહ્યા. આશા રાખીએ કે લોકો આવું નહીં કરે, નહીં તો અમને બજાર બંધ કરવાની ફરજ પડશે. જેના કારણે લોકોની રોજગારી પર અસર થશે. કોરોનાના નિવારણને લઈને કડકાઈ કરવામાં આવી રહી છે. બે દિવસથી કોરોના પોઝિટિવ રેટ 0.5 ટકા નોંધાઈ રહ્યો છે. અમે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના લેવલ-1 (યલો એલર્ટ)નો અમલ કરી રહ્યા છીએ. લાગુ થતાં નિયંત્રણો અંગેનો વિગતવાર આદેશ ટૂંક સમયમાં જાહેર કરાશે. તેમણે કહ્યું કે ડરવાની જરૂર નથી, જવાબદાર બનવાની જરૂર છે, કોરોનાના જે કેસ વધી રહ્યા છે તે હળવા લક્ષણોના છે. જો કંઈપણ ખતરો હોય, તો સૌ પ્રથમ હું તમને કહીશ. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દર્દીઓને આઇસીયુ, વેન્ટિલેટર કે ઓક્સિજન બેડની જરૂર પડી રહી નથી, તેથી ચિંતાની વાત નથી. આ વખતે આપણે કોરોના વાઇરસનો સામનો કરવા માટે 10 ગણા વધુ તૈયાર છીએ.