ગુજરાતમાં રવિવાર, 19 ડિસેમ્બરે ગ્રામપંચાયતની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના શેલા ગામમાં લોકો મતદાન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.(ANI Photo)

રાજ્યમાં 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે મતદાન યોજાયું હતું. જેમાં સરપંચ પદ માટે 27200 અને 53,507 સભ્યો માટે 119998 ઉમેદવાર મેદાનમાં હતા.આ અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતો માટે તમામ જિલ્લાઓમાં 23097 મતદાન મથકોમાંથી 1.82 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કોરોનાની ચૂસ્ત ગાઈડલાઈન અમલની તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
ગુજરાતમાં ગ્રામ પ્ંચાયત માટેની ચૂંટણીનું મતદાન સવારથી ચાલુ થયું હતું. આ દરમિયાન ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામે મતદાનમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતું, જ્યારે નવસારી અને વલસાડ જિલ્લામાં આચારસંહિતા ભંગ થયાની ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામમાં ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ થયો હતો. જેમાં વંકાલ ગામના સરપંચના ઉમેદવાર દક્ષાબેન પટેલ દ્વારા મતદાન મથકની આસપાસ પોતાના નામ અને ચિહ્નવાળો એર બલૂન હવામાં યથાવત રાખતા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્યાંક દારૂ તો ક્યાંક મહિલાઓને સાડી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચૂંટણી પંચે ગયા મહિને 10812 ગ્રામ પંચાયત, 10221 સરપંચ અને 89049 સભ્યો-વોર્ડ માટે 19 ડિસેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ પૈકી 1197 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરિફ થઈ હતી જ્યારે 9669 સભ્ય પણ બિનહરિફ જાહેર થયા હતા. આ સિવાય 6446 ગ્રામ પંચાયત આંશિક બિનહરિફ થઈ હતી. એમાં 451 સરપંચ અને 26254 સભ્ય વોર્ડ પણ બિનહરિફ થયા હતા.