લંડનના ભવન ખાતે તા. 10 ફેબ્રુઆરીના રોજ ભારતના કાર્યકારી હાઇ કમિશ્નર શ્રી કાર્તિક પાંડે મુખ્ય અતિથિ પદે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ. એન. નંદકુમાર દ્વારા વૈદિક પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ સિનિયર ટ્રસ્ટી શ્રી વરિન્દર સિંહે સ્વાગત પ્રવચન આપ્યું હતું.

હેમરસ્મિથ અને ફુલહામના મેયર કાઉન્સિલર શેરોન હોલ્ડરે પોતાના સંબોધનમાં બરોમાં સંસ્કૃતિ દ્વારા લોકોને એક કરવા અને સમુદાય અને ડાયસ્પોરા માટે સલામત જગ્યા ઉભી કરવા માટે ભવનના મહત્વપૂર્ણ કાર્ય વિશે વાત કરી કાઉન્સિલને પાર્કિંગ અપીલમાં ભવનના પ્રયાસોને સમર્થન આપવાની પણ ખાતરી આપી હતી.

/* */

લિબરલ ડેમોક્રેટ્સના ડેપ્યુટી લીડર અને ધ ભવનના પેટ્રન લોર્ડ ધોળકિયા ઓબીઇ પીસીએ ભવનના સાંસ્કૃતિક ઓળખનું સ્થળ બનવા અને ઘરથી દૂર પોતાનાપણાની ભાવના બનાવવાના સતત પ્રયાસો વિશે વાત કરી હતી. તેમણે ભારતે વર્ષોથી આત્મનિર્ભર બનવામાં કરેલી પ્રગતિ અને વૃદ્ધિ વિશે તથા બંને રાષ્ટ્રો વચ્ચેના વિકાસશીલ દ્વિપક્ષીય સંબંધો વિશે વાત કરી હતી.

મુખ્ય અતિથિ કાર્તિક પાંડેએ કહ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી એ દેશે કેટલી પ્રગતિ કરી છે તેના પર પ્રતિબિંબ પાડવાની ક્ષણ છે. તેમણે વર્ષોથી થઇ રહેલા દેશના વિકાસ, તાજેતરની ચૂંટણીઓમાં ભારે મતદાન, મજબૂત આર્થિક વિકાસ અને ગ્લોબલ સાઉથ વિષે માહિતી આપી હતી. તેમણે ભારત અને યુકે વચ્ચેના અર્થપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો અને બંને દેશોને જોડતા જીવંત સેતુ માટે સાચા રાજદૂત બનવામાં ડાયસ્પોરાના યોગદાન પર ગર્વ અનુભવ્યો હતો.

ધ ભવનના ઉપાધ્યક્ષ ડૉ. સુરેખા મહેતાએ કાર્તિક પાંડે અને હાઈ કમિશનનો આભાર માન્યો હતો. યુનિવર્સિટી ઓફ લંડન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ શ્રીમતી કવિતા રેડ્ડી, શ્રી ગિરીશ સેંગર અને શ્રીમતી શોભના ઐયર સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભવનના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું હતું.

ભવનના કાર્યક્રમો – ભવન, 4a કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન, W14 9HE GB

  • યાત્રા મહોત્સવ 2026 – શનિવાર 21 અને રવિવાર 22 ફેબ્રુઆરીના રોજ સાંજે 4થી. જેમાં સમગ્ર યુકેના ઉભરતા ભારતીય શાસ્ત્રીય સંગીત કલાકારોનું પ્રદર્શન કરવામાં આવશે.
  • ‘બી ધ ફ્યુચર’ ઉભરતા કલાકારો માટે એક ખાસ તાલીમનું આયોજન 16 ફેબ્રુઆરીથી 6 એપ્રિલ દરમિયાન રોજ સાંજે 6થી 8 દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય શાસ્ત્રીય કલામાં ઓછામાં ઓછા ચાર વર્ષની તાલીમ ધરાવતા કલાપ્રેમી નર્તકો અને સંગીતકારોને પ્રોફેશનલ લેવલ પર આગળ વધવા માટે સ્ટેલા સુબ્બૈયા અને કેન્ડીડા કોનોલી અને અન્ય પ્રોફેશનલ કલાકારો અને શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવશે.

LEAVE A REPLY