(Photo by -/AFP via Getty Images)

રાની મુખરજીની બહુચર્ચિત સીક્વલ ફિલ્મ મર્દાની-3 તાજેતરમાં રીલીઝ થઇ હતી. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ તેના ચાહકો ફિલ્મને લઈને ઉત્સુક હતા. આ ફિલ્મ વર્ષ 2014માં આવેલી મર્દાની અને વર્ષ 2019માં રિલીઝ થયેલી મર્દાની-2 ફિલ્મની સીક્વલ છે. મર્દાની ફિલ્મમાં નાની બાળકીઓના ટ્રાફિકિંગના મુદ્દા પર વાત કરવામાં આવી હતી. બીજી સીક્વલમાં દુષ્કર્મ જેવા મુદ્દાને દર્શાવવામાં આવ્યો હતો અને ત્રીજા હિસ્સામાં હ્યુમન ટ્રાફિકિંગની કહાની છે.

આ સીકવલમાં રાની મુખરજી પોલીસ અધિકારી શિવાની શિવાજી રોયની ભૂમિકામાં છે. અન્ડરકવર જાસૂસ બનીને સુંદરબન્સમાં ડ્રગ્સની હેરફેર કરનારાઓનું રેકેટ ખુલ્લું પાડનારી શિવાની રોયને તાકીદે દિલ્હી બોલાવવામાં આવે છે. દિલ્હીમાં ફેમિલી સાથે રજા પર આવેલા ઈન્ડિયન ડિપ્લોમેટ (ઈન્દ્રનીલ ભટ્ટાચાર્ય)ની બાળકીનું અપહરણ થાય છે.

સાથે ફાર્મહાઉસના ગરીબ કેરટેકરની પુત્રીને પણ અપહરકારો લઈ ગયા છે. આ હાઈ-પ્રોફાઈલ કિડનેપિંગ કેસ શિવાની રોયને સોંપવામાં આવે છે. તપાસ દરમિયાન જાણવા મળે છે કે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી 8થી 12 વર્ષની કુલ 93 બાળકીઓ લાપતા થઇ છે. અપહરણકારોનું પગેરું મેળવતાં શિવાનીને ખબર પડે છે કે, આ કોઈ સામાન્ય ગુનો નથી, પરંતુ એક મોટું ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક છે. આ ગેંગની માસ્ટરમાઇન્ડ એક વૃદ્ધ મહિલા ‘અમ્મા’ છે, જે ભિખારી ગેંગ અને ગેરકાનૂની મેડિકલ રેકેટ સાથે જોડાયેલી છે.

તે અમ્માના આ ખતરનાક સામ્રાજ્યને ખતમ કરવા ઇચ્છે છે, પરંતુ કોર્પોરેટ જેવી માનસિકતા ધરાવતા દિલ્હીમાં બેઠેલા તેના ઉપરી અધિકારીઓ તેને સતત કહે છે કે ‘એ બધું છોડ- તું ફક્ત ડિપ્લોમેટની પુત્રીની ચિંતા કર અને તેને પાછી લઇ આવ.’

આ ફિલ્મમાં રાનીની સાથે ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી જાનકી બોડીવાલા અને મલ્લિકા પ્રસાદ (અમ્મા) પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મના દિગ્દર્શક અભિરાજ મીનાવાલા છે. ફિલ્મની કહાનીના લેખક આયુષ ગુપ્તા છે, તેમણે દીપક કિંગરાણી-બલજીતસિંહ મારવા સાથે મળીને સત્યઘટના આધારિત આ કહાની લખી છે. દર્શકોના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલાં જ દિલ્હી ક્રાઈમ સીઝન 3 વેબ સિરીઝ રિલીઝ થઈ હતી અને તેમાં પણ આ પ્રકારના વિષયની વાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY