ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ બુધવાર, 13 ઓગસ્ટે નવી દિલ્હીમાં તેની ખાસ સામાન્ય સભા (SGM) દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની બિડને ઔપચારિક મંજૂરી આપી હતી. બિડ દરખાસ્તમાં અમદાવાદને યજમાન શહેર તરીકે દર્શાવવામાં આવ્યું છે. ભારતે આ ગેમ્સ માટે ઇરાદાપત્ર સુપરત કરેલા છે અને 31 ઓગસ્ટ પહેલા અંતિમ બિડ દરખાસ્તો સબમિટ કરવાની રહેશે.
કેનેડાના બિડિંગ પ્રક્રિયામાંથી ખસી જવાથી ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન મેળવવાની શક્યતા વધી ગઈ છે. કોમનવેલ્થ સ્પોર્ટની એક ટીમે ગેમ્સના ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં, તાજેતરમાં અમદાવાદમાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મહિનાના અંતમાં એક મોટું પ્રતિનિધિમંડળ મુલાકાત લે તેવી અપેક્ષા છે.
યજમાન દેશનો નિર્ણય નવેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલી દ્વારા લેવામાં આવશે. ભારતે અગાઉ 2010 માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.
SGM પછી IOAના સંયુક્ત સચિવ કલ્યાણ ચૌબેએ જણાવ્યું હતું કે જનરલ હાઉસે સર્વાનુમતે મંજૂરી આપી હતી. હવે અમે અમારી તૈયારીઓ સાથે પૂરા જોશથી આગળ વધીશું.
